Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મોસમી હોય કે કમોસમી, વરસાદ આવે એટલે દાળવડાં ને ભજિયાં ખાવાનાં

મોસમી હોય કે કમોસમી, વરસાદ આવે એટલે દાળવડાં ને ભજિયાં ખાવાનાં

Published : 30 November, 2023 09:25 AM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ચણાની દાળ વાટીને બનતાં દાળવડાંને ઘણા લોકો વાટી દાળનાં ભજિયાં પણ કહે. એમાંય અમદાવાદનાં દાળવડાં તો એક નંબર!

સંજય ગોરડિયા

ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિયા


થોડાં વર્ષો પહેલાં મેં ટીવી સિરિયલ પ્રોડક્શન શરૂ કર્યું હતું, જેની વાત સોમવારે આવતી મારી કૉલમ ‘જે જીવ્યું એ લખ્યું’માં અત્યારે ચાલુ જ છે. ટીવી સિરિયલ પ્રોડક્શનમાં બહુ મોટી નુકસાની કરી એટલે પછી મેં એ કામ બંધ કર્યું પણ લૉકડાઉન પછી મેં વેબ સિરીઝ પ્રોડક્શન શરૂ કર્યું અને મારી એ વેબ સિરીઝ ‘ગોટી સોડા’ સુપરહિટ થઈ એટલે એક પછી એક એની સીઝન આગળ વધી અને હવે એ જ વેબ સિરીઝની નવી સીઝન આવવાની છે. આ થઈ પૂર્વભૂમિકા. હવે આવીએ આપણી વાત પર.


વેબ સિરીઝના કામ માટે હમણાં મારે અમદાવાદ જવાનું થયું એ જ દિવસે અમદાવાદમાં મસ્ત મજાનો વરસાદ પડ્યો અને તમને ખબર છે કે ગુજરાતમાં વરસાદ પડે એટલે લોકો બે જગ્યાએ દોટ મૂકે. એક, ભજિયાવાળાને ત્યાં ને બીજું દાળવડાવાળાને ત્યાં. દાળવડાં આમ તો આખાં ગુજરાતમાં મળે પણ અમદાવાદનાં દાળવડાં એક નંબર એટલે મને થયું કે તમને અમદાવાદનાં જ દાળવડાં ટેસ્ટ કરાવું.



મુંબઈમાં દાળવડાંનું ચલણ બહુ નહીં પણ ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં તો દાળવડાં ખૂબ ફેમસ અને એમાં પણ વરસાદ આવે એટલે બધું પડતું મૂકીને અમદાવાદીઓ દાળવડાં માટે લાઇનમાં ઊભા રહી જાય. અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે આવેલી ગુજરાત કૉલેજનાં દાળવડાં બહુ વખણાય છે. ઍક્ચ્યુઅલી આ કૉલેજનાં દાળવડાં નથી પણ કૉલેજ પાસે લારીમાં ઊભા રહેતા ગુજરાત દાળવડા સેન્ટરની વાત છે. જૂના, જાણીતા અને પિસ્તાલીસ વર્ષથી લગાતાર દાળવડાં બનાવે છે. પહેલાં તો માત્ર લારી હતી પણ હવે લારીથી પચાસ-સો મીટરના અંતરે દુકાન પણ કરી છે પણ કોવિડના કાળમાં દુકાનમાં બેસવાની મનાઈ છે એટલે મેં નક્કી કર્યું કે દાળવડાં લઈને હોટેલ પર જવું.


ચારસો રૂપિયે કિલો એવાં આ દાળવડાંને ઘણા વાટી દાળનાં ભજિયાં પણ કહે છે. દાળવડાં અધકચરી ચણાની દાળનાં બને. ચણાની દાળને વાટીને એમાં લસણ, આદું, લીલાં મરચાં અને નમક નાખવામાં આવે. બીજા એકપણ મસાલાનો ઉપયોગ થાય નહીં અને આ જ એની મજા છે. તૈયાર થઈ ગયેલા આ મિશ્રણનાં વડાં બનાવી પછી એને સિંગતેલમાં ફ્રાય કરવામાં આવે. દાળવડાં બે વખત ફ્રાય કરવામાં આવે છે. પહેલી વાર તળીને એને કડક કરવામાં આવે તો બીજી વાર તળીને એને સૉફ્ટ કરવામાં આવે છે.

આ દાળવડાં ખાવાની પણ એક રીત છે. દાળવડાંના બે ફાડા કરી એની ઉપર કાંદાની એક ચીર અને એની ઉપર તળેલા મરચાનો નાનો ટુકડો મૂકવાનો અને પછી એને ચટણીમાં બોળીને ખાવાનું. સાહેબ, અદ્ભુત દાળવડાં. સરસ ગોળ અને મોટાં એવાં આ દાળવડાં સો ગ્રામમાં છ નંગ આવે પણ એ છ નંગ ખાધા પછી થાય કે આપણે મૂર્ખ કે સો ગ્રામ જ લઈને આવ્યા. હા, મને મારા પર ખીજ ચડી હતી. તમને તમારા પર ગુસ્સો ન આવે એનું ધ્યાન રાખીને થોડું વધારે મોટું પાર્સલ જ લેજો. 


આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2023 09:25 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK