કોઈ સાચા અર્થમાં સંત હોય અને તેમની સેવાનો લાભ મળે તો એ સારી વાત છે,
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સંતનો સંગ અને કથાશ્રવણ પછી હવે આપણે વાત કરવાની છે ભક્તિસૂત્રના ત્રીજા સૂત્રની, જે છે સંતસેવા એટલે કે સદ્ગુરુની સેવા કરવી.
આ સૂત્રનો એવો અર્થ બિલકુલ ન કરશો કે કોઈ મહાત્માના પગ દબાવવાથી ભક્તિ થશે, ના, એવું બિલકુલ નથી. કોઈ સાચા અર્થમાં સંત હોય અને તેમની સેવાનો લાભ મળે તો એ સારી વાત છે, બાકી તમારા જીવનમાં જે વ્યક્તિના માર્ગદર્શનથી પ્રકાશ થયો હોય તે તમારા પિતા, પતિ, ભાઈ, બહેન, શિક્ષક, મિત્ર કે પછી જેણે તમારા જીવનપ્રવાસમાં ભોમિયા બનીને તમને પથદર્શન કરાવ્યાં હોય, જરૂર પડે ત્યારે તમને સાચું માર્ગદર્શન આપ્યું હોય અને એ માર્ગદર્શને તમારા જીવનમાં પ્રકાશ પાથર્યો હોય તો એવા ભોમિયાની ભૂમિકા ભજવનાર પ્રત્યે આદર રાખવાથી ત્રીજા પ્રકારની ભક્તિ કરી ગણાશે.
ADVERTISEMENT
ચોથું સૂત્ર છે સ્મરણ.
તુલસીદાસજીએ ચોથા સૂત્રમાં કહ્યું છે કે તમે જેને ભજતા હો એનું નિષ્પાપ સ્મરણ કરો. તમારા ભજનમાં જેકોઈ આવતું હોય ઈશ્વર, અલ્લાહ, નાનક, ઈશુ, મહાવીર, બુદ્ધ કોઈ પણ સ્વરૂપનું સ્મરણ કરો ત્યારે સંપૂર્ણપણે કપટ છોડીને સ્મરણ કરવું બહુ અનિવાર્ય છે. કોઈ જાતની માગ વિના, કોઈ જાતના સ્વાર્થ વિના, બિલકુલ કપટરહિત થઈને ઈશ્વરનું સ્મરણ કરવાથી તેમની સાથે સીધું અનુસંધાન જોડાય છે, જે તમને ભક્તિના એ માર્ગ પર લઈ જવાનું કામ કરે છે જે માર્ગને ખોજતા લોકો દસકાઓ પસાર કરી નાખે છે.
સદ્ગુરુની સેવા અને સ્મરણ પછી ભક્તિસૂત્રમાં પાંચમા સ્થાને આવે છે મંત્ર.
મંત્રનું ગાન કરવું એટલે એક વિચારને યાદ કરવો. મંત્ર એ બીજું કંઈ નથી, પણ સુવિચાર છે. જો તમને ખબર ન હોય તો કહેવાનું કે આ મંત્ર શબ્દ પરથી જ મંત્રણા શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. મંત્રણા એટલે વિચારવિમર્શ. મંત્રગાન કરવું એટલે કોઈ મંત્ર કે શ્લોક હોવો જ જોઈએ એવો સંકીર્ણ અર્થ કરશો નહીં, પણ શુભ વિચાર કરવો જરૂરી છે. જે રીતે સરકારી કચેરીમાં ઘણા કર્મચારીઓ મન લગાડ્યા વગર બેપરવા થઈને નોકરી કરે છે છતાં તેમનો પગાર કપાતો નથી, એ રીતે તમે કદાચ મન લગાડ્યા વગર પણ હરિનામ લેશો તો મારો હરિ તમારો પગાર કાપવાનો નથી. પેલા સરકારી કર્મચારીના ઉપરી અધિકારી કરતાં તો મારો હરિ વધારે ઉદારદિલ છે એની મને ખાતરી છે. માટે મંત્ર કે શ્લોક ન મળે તો કોઈ પણ નામનું કોઈ પણ રીતે રટણ કરો. વાલ્મીકિજી પાસે કોઈ શ્લોક નહોતો એટલે તો તે રામનું નામ લેતાં ધ્યાનમાં બેસી ગયા અને તેમને રામનો સાક્ષાત્કાર પણ થયો. બસ, સારા વિચાર કરો એટલે ભક્તિના પાંચમા સૂત્રમાં તમે પાસ થઈ જશો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)