બાર વર્ષે ફરી મસ્તક પર મુગટ
રાજેશ શૃંગારપુર
&tv પર આવતી ‘કહત હનુમાન જય શ્રી રામ’ જોવાનું વધુ એક કારણ ઑડિયન્સને હવે મળવાનું છે. જાણીતા ટીવી સ્ટાર અને મરાઠી ઍક્ટર રાજેશ શૃંગારપુર હવે આ ઐતિહાસિક ટીવી સિરિયલમાં જોવા મળશે. રાજેશ આ પ્રકારની સિરિયલનું બહુ જાણીતું નામ છે. તેણે અગાઉ ભગવાન વિષ્ણુથી માંડીને શિવ, અગ્નિદેવ અને કૃષ્ણ જેવાં અનેક પાત્રો નિભાવ્યાં છે. લાંબો સમય સુધી આ પ્રકારનાં પાત્રો નિભાવ્યા પછી રાજેશે આ પ્રકારનાં કૅરૅક્ટર કરવાની લગભગ ના પાડવાની શરૂ કરી દીધી હતી અને એટલે જ છેલ્લાં બાર વર્ષથી તેણે કોઈ ઐતિહાસિક કૅરૅક્ટર કર્યું નહોતું, પણ ‘કહત હનુમાન જય શ્રી રામ’ની ઑફર મળતાં તે ના ન પાડી શક્યો અને તેણે સિરિયલમાં ભગવાન શનિ બનવાનું પસંદ કર્યું.
રાજેશે કહ્યું હતું, ‘સારાં પાત્રો માટે રાહ જોવી પડતી હોય છે. અમુક પાત્રો કર્યા પછી બહુ ટિપિકલ કૅરૅક્ટર ઑફર થતાં હોવાથી એ કૅરૅક્ટર નહીં કરવાનો નિર્ણય લીધો હતો પણ શનિદેવની વાત જ જુદી છે. એ કૅરૅક્ટરમાં જેટલા શેડ્સ છે એટલા શેડ્સ તમને માઇથોલૉજિકલ કૅરૅક્ટરમાં ભાગ્યે જ જોવા મળશે.’