તેનું કહેવું છે કે શોને કારણે તેની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર પણ અસર પડી હતી
રઘુ રામ
Mtv ‘રોડીઝ’માં જજની ભૂમિકામાં જોવા મળેલો રઘુ રામ તેના ડિવૉર્સ માટે આ શોને જવાબદાર માને છે. આ શોની દસ સીઝનને તેણે જજ કરી હતી. Mtv સાથે ક્રીએટિવ મતભેદ ઊભા થતાં તેણે આ શો છોડી દીધો હતો. રઘુ રામે ૨૦૦૬માં સુગંધા ગર્ગ સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૬માં તેમના ડિવૉર્સ થયા હતા. બાદમાં ૨૦૧૮માં રઘુએ ઇટાલિયન-કૅનેડિયન સિંગર નતાલી ડી લુસિયો સાથે ફરી લગ્ન કર્યાં હતાં. Mtv ‘રોડીઝ’ને કારણે થયેલી અસર વિશે રઘુ રામ કહે છે, ‘દસ સીઝન સુધી તો કોઈ વાંધો નહોતો આવ્યો. નવમી અને દસમી સીઝન શરૂ થઈ એ દરમ્યાન Mtv સાથે વિવાદ થવા માંડ્યો હતો. બીજી વસ્તુ એ કે મારી પર્સનલ લાઇફ પર એની અસર પડી. ‘રોડીઝ’ને કારણે મારા જીવનમાં ખૂબ ઉતાર-ચડાવ આવવા માંડ્યા હતા. મારાં લગ્નજીવન પર પણ અસર થઈ. છેવટે મારા ડિવૉર્સ થયા. મારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ અને અન્ય બાબતો પર પણ અસર પડી હતી. મારે પાછળ હટવું પડ્યું. મેં શોમાં કામ કરવાનું બંધ કરી દીધું. હવે મને એ વાતની ખુશી છે. શો છોડવાનો મને એકેય દિવસ પસ્તાવો નથી થયો.’
શોમાં પાછા ફરવાનો સવાલ જ નથી આવતો. હવે એ પહેલાં જેવો ‘રોડીઝ’ નથી રહ્યો. એ એકદમ બદલાઈ ગયો છે. એ નામમાત્રનો ‘રોડીઝ’ રહ્યો છે.
- રઘુ રામ