મારી અને કપિલ વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી : કૃષ્ણા અભિષેક
કૃષ્ણા અભિષેક તેના નવા શોને પ્રમોટ કરવા માટે કપિલ શર્માના શોમાં જશે અને તેનું કહેવું છે કે તેમની વચ્ચે કોઈ હરીફાઈ નથી. કૃષ્ણા અભિષેક સોની ટીવી પર તેમનો આગામી શો ‘ધ ડ્રામા કંપની’ શરૂ કરવા જઈ રહ્યો છે. આ શોમાં તેની સાથે અલી અસગર, સુગંધા મિશ્રા અને ડૉક્ટર સંકેત ભોસલે જોવા મળશે. આ શોમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે એવી શક્યતા છે, પરંતુ તેણે હજી સુધી તૈયારી નથી દેખાડી. આ વિશે વધુ જણાવતાં કૃષ્ણા અભિષેક કહે છે, ‘મારા શોને લઈને કોઈ કન્ટ્રોવર્સી નથી. મારા શોને કપિલ અને તેના શો સાથે પણ કોઈ લેવાદેવા નથી. કપિલનો શો નવથી દસ આવશે જ્યારે મારો શો આઠથી નવ આવશે. અમારી વચ્ચે કોઈ હરીફાઈ નથી રહી. હું જ્યારે ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ કરતો હતો ત્યારે અમારા બન્નેનો શો એક જ સમયે આવતો હતો. એ સમયે લોકોએ શું જોવું એમાં કન્ફ્યુઝન થતું હતું. જોકે હવે અમે બન્ને એક જ ચૅનલ પર આવી રહ્યા છીએ. મેં ચૅનલને પણ કહી દીધું છે કે અમારા શોને પ્રમોટ કરવા માટે અમે ‘ધ કપિલ શર્મા શો’માં જઈશું. મને લાગે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે પહેલી વાર એક સ્ટેજ પર સાથે જોવા મળીશું. મારો શો શરૂ થાય અને હું કપિલના શોમાં જાઉં એ માટે હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’