'ઈશ્કબાઝ' ફૅમ પીઢ અભિનેત્રી નિશી સિંહને થયો લકવો
નિશી સિંહ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
'ઈશ્કબાઝ', 'કૂબૂલ હૈ', 'તેનાલી રામા' તથા 'હિટલર દીદી' જેવી અનેક સિરિયલમાં કામ કરી ચૂકેલ પીઢ અભિનેત્રી નિશી સિંહ (Nishi Singh)ને લકવો થયો છે. દોઢ વર્ષમાં અભિનેત્રીને બીજીવાર લકવો માર્યો છે. છેલ્લાં ઘણાં સમયથી નિશીની સારવાર ચાલે છે અને આ જ કારણે પરિવાર હવે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે.
પીઢ અભિનેત્રી નિશી સિંહના પતિ સંજય સિંહ લેખક તથા અભિનેતા છે. પરંતુ પત્નીની દેખરેખ માટે તેમણે પોતાનું કામકાજ છોડી દીધું છે. તેમના બાળકો નાના છે અને લકવો હોવાને કારણે નિશીને દરેક કામમાં મદદની જરૂર પડે છે. આ સમયે પતિ સંજય ઘરે રહે છે. સારવાર માટે કપલની તમામ બચત પૂરી થઈ ગઈ છે. ગરીબીને કારણે ઘર પણ ગિરવે મૂક્યું છે. સંજય હવે પત્નીની સારવાર માટે અન્ય લોકો પાસેથી આર્થિક મદદ માંગે છે.
ADVERTISEMENT
સંજયે પત્નીની તબિયત તથા સારવાર અંગે વાત કરતાં બોમ્બે ટાઈમ્સને કહ્યું હતું, 'નિશી ગયા વર્ષે લકવાને કારણે ઘરમાં પડી ગઈ હતી અને ત્યારબાદ સાતથી આઠ દિવસ હૉસ્પિટલમાં દાખલ રહી હતી. આ સમયે તે કોઈને પણ ઓળખી શકતી નહોતી. અમે પછી તેને ઘરે લઈ આવ્યા હતા અને તે ધીમે ધીમે સાજી થઈ રહી હતી. જોકે, આ વર્ષે રક્ષાબંધનની આસપાસ તેને બીજીવાર લકવો માર્યો અને તેનું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. હવે તેને દરેક કામ માટે મદદની જરૂર પડે છે.'
નિશી તથા સંજયને બે બાળકો છો. મોટી દીકરો 19 વર્ષનો છે. તે નાના-નાની સાથે દિલ્હીમાં રહે છે. દીકરી 16 વર્ષની છે. દીકરીની ઉંમર નાની હોવાથી તે એકલી માતાનું ધ્યાન રાખી શકે તેમ નથી. આથી જ સંજય પત્નીની દેખરેખ રાખે છે. બીમાર પત્નીની સારવાર તથા તેની દેખરેખને કારણે સંજય કોઈ કામ કરી શકે તેમ નથી. કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
અભિનેત્રીની સારવારમાં પરિવારની બચત પૂરી થઈ ગઈ છે. સંજય હવે લોકો પાસે આર્થિક મદદ માગી રહ્યો છે. સંજયે કહ્યું હતું, 'નિશીની તબિયત હવે સારી છે, પરંતુ આગળની સારવાર માટે પૈસાની જરૂર છે. છેલ્લા બે વર્ષમાં તમામ બચત પૂરી થઈ ગઈ છે. ફ્લેટ પણ ગિરવે મૂકી દીધો છે. હું આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે જ મારા પરિવારે મારો સાથ છોડી દીધો હતો. અમે સંઘર્ષ કરીએ છીએ અને અમારે મદદની જરૂર છે.'