પ્રિયદર્શનની ફિલ્મની સ્ટાઇલથી હેરાફેરીમાં કામ કર્યું હતું સુનીલ શેટ્ટીએ
સુનીલ શેટ્ટી
૯૦ના દાયકામાં ઍક્શન હીરોની છબી ધરાવનાર સુનીલ શેટ્ટીએ પ્રિયદર્શનની ફિલ્મો બનાવવાની સ્ટાઇલથી આકર્ષિત થઈને ‘હેરાફેરી’માં કૉમેડી રોલ સ્વીકાર્યો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ એની સીક્વલ ‘ફિર હેરાફેરી’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. હવે એના ત્રીજા પાર્ટને બનાવવાને લઈને પણ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ‘હેરાફેરી’માં કૉમેડી કરવાને લઈને વિસ્તારમાં જણાવતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘ફિલ્મની સિમ્પ્લિસિટીએ એને યાદગાર બનાવી દીધી છે. ‘હેરાફેરી’ એક એવી ફિલ્મ હતી કે જેમાં દરેકને કોઈ ને કોઈ પ્રૉબ્લેમ હોય છે. એ પ્રૉબ્લેમમાં જ હસી-મજાક મળી આવતાં હતાં. એને જોવાનું આજે પણ લોકો પસંદ કરે છે. આ એક એવી ફિલ્મ હતી કે એમાં ઍક્શન હીરો કૉમેડી કરી રહ્યા હતા. બાબુભાઈ તેને કન્ટ્રોલ કરતા હતા. એથી લોકોને ખૂબ મજા પડી ગઈ હતી. સાથે જ સ્ક્રિપ્ટ, રાઇટિંગ, ડાયલૉગ અને પ્રિયદર્શનના ડિરેક્શનની સાથે પૂરી ટીમે ખૂબ જ સરસ રીતે કામ કર્યું હતું. ‘હેરાફેરી’ પર્ફેક્ટ ટીમવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હું એ જાણતો હતો કે પ્રિયદર્શન જ્યારે આવા પ્રકારની ફિલ્મો બનાવે છે તો ધમાલ મચાવી દે છે. તેઓ જે ફિલ્મોને પ્રોડ્યુસ કરે છે અને તેમની સેન્સ ઑફ કૉમેડી પણ કમાલની છે. આ જ કારણ છે કે મેં કૉમેડી રોલ અપનાવ્યો હતો. આ ફિલ્મ બાદ અક્ષયકુમાર અને મેં ‘આવારા પાગલ દીવાના’માં કામ કર્યું હતું.’
‘હેરાફેરી’ના શૂટિંગના દિવસો યાદ કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને જાણ નથી કે ફિલ્મ કેવી રીતે બની. એ તો બસ બની ગઈ. અમે દરરોજ સવારે સેટ પર પહોંચી જતા હતા. સીધા અમને ઇસ્ત્રી કર્યા વગરના કૉસ્ચ્યુમ્સ આપવામાં આવતા હતા. ડિરેક્ટર અમને બપોરે ન્યુઝપેપર પર ઊંઘવાનું કહેતા હતા. એથી અમે ન્યુઝપેપર પર સૂઈ જતા હતા. પ્રિયદર્શન અમને કહેતા હતા કે હું નથી ચાહતો કે તમે કમ્ફર્ટેબલ રહો, તમે જ્યારે જાગો તો તમે આરામ કરેલા દેખાઓ. પરંતુ અનકમ્ફર્ટેબલ દેખાઓ. એથી અમે મેકઅપ પણ નહોતા કરતા. અક્ષયકુમાર, હું અને પરેશ રાવલ અમે સતત સાથે રહેતા હતા. સાથે રહીને અમારી લાઇન્સ પણ રિહર્સલ કરતા હતા. એને ઇમ્પ્રોવાઇઝ કરતા હતા. પ્રિયદર્શન સર એક એવા વ્યક્તિ હતા જેમને એ જાણ હતી કે કટ ક્યારે કહેવાનું છે.’