ફિલ્મમાં બબલુ પંડિતના રોલમાં તેના બદલે જિતેન્દ્ર કુમાર જોવા મળશે
મિર્ઝાપુર ધ મૂવી
OTT પર ધૂમ મચાવનારી લોકપ્રિય વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર આવવા તૈયાર છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘મિર્ઝાપુર : ધ મૂવી’ ચોથી સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં સિરીઝના અનેક જાણીતા કલાકારો પોતાની જૂની ભૂમિકાઓમાં જોવા મળશે; જ્યારે જિતેન્દ્ર કુમાર, રવિ કિશન અને સોનલ ચૌહાણ જેવા નવા ચહેરાઓ પણ ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયા છે. ખાસ વાત તો એ છે કે સિરીઝમાં જેમનાં પાત્રોનું મૃત્યુ થઈ ચૂક્યું હતું એવાં દિવ્યેન્દુ શર્મા અને શ્રિયા પિલગાવકરનાં પાત્રો પણ ફિલ્મમાં જોવા મળશે, પણ વિક્રાન્ત મેસીની ગેરહાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
વિક્રાન્તે ‘મિર્ઝાપુર’માં બબલુ પંડિતનું પાત્ર ભજવ્યું હતું. પ્રથમ સીઝનમાં જ બબલુના પાત્રનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે ફિલ્મમાં બબલુનું કમબૅક થયું છે અને આ વખતે આ પાત્રમાં જિતેન્દ્ર કુમાર જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે જ્યારે ‘મિર્ઝાપુર’ની પ્રથમ સીઝન આવી હતી ત્યારે વિક્રાન્ત મુખ્યત્વે ટેલિવિઝનમાં કામ કરતો હતો અને આજે બૉલીવુડનો જાણીતો ઍક્ટર બની ગયો છે અને તેની પાસે અનેક લીડ રોલવાળી ફિલ્મો છે. બીજી તરફ ‘મિર્ઝાપુર’ની મુખ્ય વાર્તા હંમેશાં કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી અને ગુડ્ડુ પંડિતની આસપાસ જ ફરે છે. આવી સ્થિતિમાં વિક્રાન્તને કદાચ ફરી નાનો રોલ કરવામાં રસ ન પડ્યો હોય એવું બની શકે છે.
ઇન્ડસ્ટ્રીમાં બીજી એક ચર્ચા પણ ચાલી રહી છે. હકીકતમાં ‘મિર્ઝાપુર’નું નિર્માણ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ કરે છે અને આ જ પ્રોડક્શન હાઉસની ‘ડૉન 3’માં કામ કરવાની વિક્રાન્તે ના પાડી દીધી હોવાથી કદાચ તેને ‘મિર્ઝાપુર : ધ મૂવી’ ઑફર જ કરવામાં નથી આવી.
