જબ વી મેટની સીક્વલ વિશે ઇમ્તિયાઝ અલીએ કહ્યું...
ઇમ્તિયાઝ અલીની તસવીર
ઇમ્તિયાઝ અલીએ ‘જબ વી મેટ 2’ને લઈને ચુપકીદી તોડી છે. ૨૦૦૭માં આવેલી શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનની ‘જબ વી મેટ’ લોકોને ખૂબ ગમી હતી અને હવે આ ફિલ્મની સીક્વલની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ૨૦૨૩માં શાહિદે કહ્યું કે હું બહુ જલદી ઇમ્તિયાઝ સાથે કામ કરવાનો છું ત્યારથી આ ફિલ્મની સીક્વલની ચર્ચા ચાલી રહી છે. આ વિશે વાત કરતાં ઇમ્તિયાઝ અલી કહે છે, ‘શા માટે ‘જબ વી મેટ’ની સીક્વલ બનાવવી જોઈએ? લોકોએ આ ફિલ્મને માણવી હોય તો તેઓ ફરી ઓરિજિનલ ફિલ્મ જોઈ શકે છે. ‘જબ વી મેટ 2’ બનાવવા માટે સ્ટોરી પણ તો હોવી જોઈએ. ક્યારે શું થાય છે એની કોઈને ખબર નથી હોતી. મેં ‘લવ આજ કલ’ બીજી વાર બનાવી હતી, પરંતુ લોકોને એ નહોતી ગમી. જોકે એ કારણ નથી કે હું ‘જબ વી મેટ 2’ નથી બનાવી રહ્યો, પણ સીક્વલ બનાવવા માટે જ્યાં સુધી કોઈ ચોક્કસ કારણ ન હોય ત્યાં સુધી એ ન બનાવવી જોઈએ.’