‘હનુમાન અંશ’ની ટીમે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ટીમે ફિલ્મ બનાવવાનો અનુભવ શૅર કર્યો હતો અને ફિલ્મના ગોરખનાથ તથા નાથ પરંપરા સાથે જોડાયેલા સીન પણ બતાવ્યા હતા.
યોગી આદિત્યનાથ સાથે હનુમાન અંશની ટીમ
‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર સતત સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મની ટીમે મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે લખનઉ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદી, પ્રોડ્યુસર અને ફિલ્મની સ્ટારકાસ્ટના કેટલાક સભ્યો યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમ્યાન ટીમે યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ બનાવવાના પોતાના અનુભવ શૅર કર્યા હતા. આ મુલાકાત પછી મુખ્ય પ્રધાન કાર્યાલયે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ મુલાકાતની તસવીરો પણ શૅર કરી છે.
‘હનુમાન અંશ’ની ટીમે માહિતી આપી કે આ મુલાકાત દરમ્યાન યોગી આદિત્યનાથે ફિલ્મના એ મહત્ત્વપૂર્ણ સીન પણ જોયા હતા જેમાં ગોરખનાથ અને નાથ સંપ્રદાયની પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં નીમ કરૌલી બાબા અને નાથ પરંપરા સાથે જોડાયેલા સંતો વચ્ચેના ગાઢ સંબંધને પણ દર્શાવવામાં આવ્યો છે.
હનુમાન અંશને મળેલી સફળતા હનુમાનજીનો આશીર્વાદ
ADVERTISEMENT
ફિલ્મને મળેલી શાનદાર સફળતા પર ખુશી વ્યક્ત કરી હેમા માલિનીએ
ભાજપનાં સંસદસભ્ય અને ઍક્ટ્રેસ હેમા માલિનીએ ફિલ્મ ‘હનુમાન અંશ’ની શાનદાર સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. મથુરામાં નીમ કરૌલી બાબા અને હનુમાનજી સાથે જોડાયેલી આસ્થાનો ઉલ્લેખ કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘મથુરામાં હનુમાનજી અને નીમ કરૌલી બાબાનું મંદિર છે. હું અહીં હંમેશાં આવું છું અને આજે હું ખૂબ ખુશ છું કે તેમના પર એક ફિલ્મ બની છે અને એ સુપરહિટ થઈ ગઈ છે. આ હનુમાનજીનો આશીર્વાદ છે. જે યુવતીએ આ ફિલ્મ બનાવી છે તે એક સામાન્ય અને સીધી-સાદી યુવતી છે. તેને ફિલ્મી દુનિયા વિશે પણ વધારે જાણકારી નહોતી. આમ છતાં તેના યોગદાનથી એવી ફિલ્મ બની છે જેને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. હવે દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા માટે આતુર છે અને હું પણ ટૂંક સમયમાં ‘હનુમાન અંશ’ જોવા ઇચ્છું છું.’
