Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નોટબંધી 2.0 : આખી વાતનું તારણ સમજ્યા વિના દોડાદોડ કરવી અયોગ્ય અને નિરર્થક છે

નોટબંધી 2.0 : આખી વાતનું તારણ સમજ્યા વિના દોડાદોડ કરવી અયોગ્ય અને નિરર્થક છે

23 May, 2023 03:36 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

૨૦૦૦ની નોટ એ મૉનિટાઇઝેશન સમયે માત્ર વચગાળાની સગવડ માટે મૂકવામાં આવેલી કરન્સી હતી, એનાથી લાંબો સમય વહીવટ ચલાવવાનો જ નહોતો જે દેખીતી વાત હતી અને મોટા ભાગના એજ્યુકેટેડ લોકો આ વાત સમજી ગયા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


હા, આ વખતે એવું જ થયું છે. જેવી વાત આવી કે ભારતીય ચલણમાંથી ૨૦૦૦ રૂપિયાની ગુલાબી નોટ પાછી ખેંચવાની શરૂ કરવામાં આવી છે કે તરત જ સૌકોઈ એ પિન્ક-પત્તી લઈને દોડતા-ભાગતા થઈ ગયા. ભલા માણસ, જરા પૂરી વાત સાંભળો તો ખરા, સમજો તો ખરા કે કહેવામાં શું આવ્યું છે અને શું કામ આટલી અર્થહીન દોડાદોડ કરવાની? જ્યારે ચોખવટ સાથે કહેવામાં આવ્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ નથી થતી, પણ એને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે. એ નોટનો ઉપયોગ કરવાની બિલકુલ મનાઈ નથી અને એ નોટ લેવાની કોઈ ના પાડી શકવાનું નથી. ગઈ કાલે તો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે એવું પણ માનવામાં ન આવે કે ૨૦૦૦ની એ નોટ બંધ થઈ રહી છે. તમારી પાસે ચાર મહિના છે અને ચાર મહિના પછી પણ ૨૦૦૦ની નોટ ઑફિશ્યલ ચાલુ જ રહેશે. બને કે એ સમયે થોડું રિસ્ટ્રિક્શન આવ્યું હોય. બને કે એ સમયે એ નોટનો ઉપયોગ માત્ર અને માત્ર સરકારી વ્યવહારમાં જ કરવામાં આવે અને એવું પણ બની શકે કે એ સમયે ચોક્કસ માત્રામાં એ નોટનો વપરાશ કરવાની મર્યાદા બાંધવામાં આવે, પણ એનો અર્થ એવો નથી થતો કે તમે એ નોટનો વપરાશ નહીં કરી શકો.

આજે જે બે હજારની નોટ સાથે દોડાદોડી કરે છે એ પૈકીના મોટા ભાગના મહારથીઓ છેલ્લા એક વર્ષથી એવું બોલતા થઈ ગયા હતા કે આ નોટ તો હવે ચલણમાંથી દૂર થવાની છે અને તેઓ ખોટા પણ નહોતા. સરકારે એવો અંદેશો આપવાનો ઑલરેડી શરૂ કરી દીધો હતો, જેની શરૂઆત એટીએમથી કરી હતી. એની ટાઇમ મની મશીનમાં છેલ્લે તમને ૨૦૦૦ની નોટ ક્યારે મળી હતી એ જરા યાદ કરજો? બૅન્ક પણ વિધડ્રૉઅલ સમયે ૨૦૦૦ રૂપિયાની નોટ આપતી બંધ થઈ ગઈ હતી. આ એક ઇન્ડિકેશન હતું કે બૅન્કમાં જતી ૨૦૦૦ની નોટ હવે ત્યાંથી બહાર આવવા દેવામાં નથી આવતી. કહેવાનો ભાવાર્થ એ જ કે એવું ચાલતું હતું એ પછી પણ અનેક મહારથીઓએ જાગવાની પ્રક્રિયા નહોતી કરી અને ખતરાની ઘંટડી સત્તાવાર વાગે ત્યાં સુધીની રાહ જોઈ હતી.



બે હજારની નોટ પાછી ખેંચાયા પછી શું? 


આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવ્યો છે અને એનો જવાબ રિઝર્વ બૅન્ક અને ભારતનું નાણાં મંત્રાલય જ આપી શકે, પણ હા, એટલું તો કોઈ પણ એક્સપર્ટ કહી શકે કે હવે જે નોટ આવશે એ ૧૦૦૦થી વધારે મોટી ચલણની નહીં હોય. જેટલી વધારે મોટી કરન્સી નોટ એટલો જ તમારો દેશ આર્થિક રીતે પછાત એવું કોઈ પણ અર્થશાસ્ત્રી સહેલાઈથી કહી દે છે. ૨૦૦૦ની નોટ એ મૉનિટાઇઝેશન સમયે માત્ર વચગાળાની સગવડ માટે મૂકવામાં આવેલી કરન્સી હતી, એનાથી લાંબો સમય વહીવટ ચલાવવાનો જ નહોતો જે દેખીતી વાત હતી અને મોટા ભાગના એજ્યુકેટેડ લોકો આ વાત સમજી ગયા હતા. એ પછી પણ આજે નોટબંધીના નામે દેકારો કરવામાં આવે એ ગેરવાજબી છે. બે હજારની નોટ બંધ થઈ નથી, થવાની નથી એ એક વાત અને બીજી વાત, એ નોટનો ઉપયોગ ઓછામાં ઓછો થશે એટલું જ કાળું નાણું ઘટશે, કારણ કે નાની નોટમાં મળતું કાળું નાણું ક્યારેય સંઘરી શકાતું નથી અને સંઘરવાનું કોઈ પસંદ પણ ન કરે.
જરા વિચાર કરો કે ૧૦ રૂપિયાની કરન્સીમાં કોઈ આવીને ભ્રષ્ટાચારના એક કરોડ રૂપિયા આપી જાય તો તમે એ કેવી 
રીતે સાચવો?


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 03:36 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK