ઇન્ડિયા સામેની વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ ટીમમાંથી ગેઇલ આઉટ
ગેઇલ
બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલને ભારત સામે રમાનારી ટેસ્ટ સિરીઝની ટીમમાં સિલેક્ટ કરવામાં નથી આવ્યો. ૨૨ ઑગસ્ટથી શરૂ થનારી સિરીઝ માટે એકમાત્ર નવોદિત ચહેરો ‘જાયન્ટ’ સ્પિન ઑલરાઉન્ડર રેહકીમ કોર્નવાલને સામેલ કરવામાં આવ્યો છે. ગેઇલ ૪૦મા બર્થ-ડેથી ફક્ત ૬ અઠવાડિયાં દૂર છે. તે છેલ્લી ટેસ્ટ બંગલા દેશ સામે ૨૦૧૪માં રમ્યો હતો. ગુરુવારે રમાયેલી પહેલી વન-ડે દરમ્યાન ગેઇલ જરાય ફૉર્મમાં જણાયો નહોતો. તેણે ૩૧ બૉલમાં ફક્ત ૪ રન બનાવ્યા હતા અને તે કુલદીપ યાદવની બોલિંગમાં ક્લીન-બોલ્ડ થયો હતો.
ભારત સામેની વર્લ્ડ કપ મૅચ પહેલાં તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે એક ફેરવેલ ટેસ્ટ પોતાના હોમ-ગ્રાઉન્ડ કિંગ્સ્ટનના સબિના પાર્કમાં રમવા માગે છે. સિલેક્શન કમિટીના હેડ રૉબર્ટ હેયનેસના નિર્ણયને સપોર્ટ કરતાં ભૂતપૂર્વ બોલર કર્ટલી એમ્બ્રોસે કહ્યું કે ‘ગેઇલને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરવાનો અર્થ છે એક સ્ટેપ બૅકવર્ડ ડાયરેક્શનમાં લેવો. તેને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરવો એટલે યંગ પ્લેયરોને ખોટો સંદેશ આપવા બરાબર છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે બીજી વન-ડે
૨૬ વર્ષના ઑફ-બ્રેક સ્પિનર રેહકીમ કોર્નવાલે ૫૫ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨૬૦ વિકેટ લીધી છે અને ૨૨૨૪ રન બનાવ્યા છે. તેણે હાલમાં ઇન્ડિયા ‘એ’ સામેની અનઑફિશ્યલ ટેસ્ટ સિરીઝમાં બે ફિફ્ટી ફટકારી હતી. સિલેક્શન કમિટીના હેડ રૉબર્ટે કહ્યું કે ‘રેહકીમ ઘણા લાંબા સમયથી સતત સારું પર્ફોર્મ કરી રહ્યો છે અને મૅચ-વિનર સાબિત થયો છે એટલે તે ટેસ્ટ ટીમમાં આવવાને લાયક છે. તેના શાર્પ ટર્ન અને એક્સ્ટ્રા બાઉન્સને કારણે બોલિંગમાં ટીમને અટેકિંગ ઑપ્શન મળશે.’