ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે બીજી વન-ડે
શ્રેયસ અય્યર
આજે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ત્રણ વન-ડે સિરીઝની બીજી મૅચમાં મેઘરાજા ખલેલ ન પહોંચાડે તો મુંબઈના શ્રેયસ અય્યરને ચોથા સ્થાને રમવાનો મોકો મળી શકે છે. પહેલી વન-ડેમાં ૧૩ ઓવર પછી વરસાદ આવતાં મૅચ રદ કરવી પડી હતી. ફક્ત બે મૅચથી શ્રેયસનું સ્થાન ટીમમાં નિશ્ચિત નહીં થઈ શકે, તેના યંગ ખભા પરથી પ્રેશર ઓછું કરવા વધુ ચાન્સ આપવો જરૂરી છે.
શ્રેયસે વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ સામે બે ફિફ્ટી ફટકારી હતી. વિરાટના ગાઇડન્સ અને રોહિત શર્માના ફ્રેન્ડ્લી અપ્રોચથી તે શાનદાર પર્ફોર્મન્સ કરી શકે છે. આ વર્ષે તેની કૅપ્ટન્સીમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ ૭ વર્ષ પછી પહેલી વખત આઇપીએલના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી હતી. શ્રેયસ ચોથી પોઝિશન પર રમે તો લોકેશ રાહુલે બહાર બેસવું પડશે.
ADVERTISEMENT
કેદાર જાધવે ટીમમાં પર્મનન્ટ સ્થાન મેળવવા માટે આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. તે ઑફ સ્પિન બોલિંગ કરે છે, પણ કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં હોય ત્યારે તેને પાર્ટ-ટાઇમ બોલિંગ આપવાની જરૂર નથી પડતી. જો ભુવનેશ્વર કુમારને આરામ જોઈતો હશે તો નવદીપ સૈનીને વન-ડેમાં ડેબ્યુ કરવાનો ચાન્સ મળી શકે. વેસ્ટ ઇન્ડીઝના એવિન લુઇસે પહેલી મૅચમાં ૪૦ રન બનાવીને ફૉર્મમાં આવવાનો સંકેત આપી દીધો છે. ‘યુનિવર્સલ બૉસ’ ક્રિસ ગેઇલ આજે અટૅકિંગ ગેમ રમે એવી આશા ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે. જમૈકાનો આ બૅટ્સમૅન પહેલી મૅચમાં ૩૧ બૉલમાં ફક્ત ૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને ટેસ્ટ ટીમમાં ચાન્સ નથી મળ્યો એનો અર્થ એ છે કે છેલ્લી બે વન-ડે તેના ભવ્ય ઇન્ટરનૅશનલ કરીઅરની છેલ્લી મૅચ હશે.