સિલેક્ટરોએ વારંવાર અવગણના કરતાં સૌરાષ્ટ્રના લેફ્ટી બોલરે સોશ્યલ મીડિયા પર ઠાલવ્યું દુઃખ
જયદેવ ઉનડકટ
સૌરાષ્ટ્રનો લેફ્ટી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ભારતીય ટીમના સિલેક્ટરોએ વારંવાર અવગણના કરવા છતાં તે નિરાશ નથી થયો. તેણે કહ્યું હતું કે ‘હું હાર નહીં માનું અને જે રમતે આટલું બધુ આપ્યું છે એને રમતો રહીશ.’ ઉનડકટની ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે રિઝર્વ ખેલાડીમાં પણ પસંદગી ન થઈ. એટલું જ નહીં, શ્રીલંકામાં થનારી મર્યાદિત ઓવરોની સિરીઝ માટે પણ ભારતની ‘બી’ ટીમમાં પણ પસંદ ન કરાયો. ૨૦૧૯-’૨૦ રણજી ટ્રોફીમાં રેકૉર્ડ ૬૭ વિકેટ લેનારા આ ખેલાડીએ સૌરાષ્ટ્રને પહેલી વખત ચૅમ્પિયન પણ બનાવ્યું હતું. ૨૯ વર્ષના બોલરે શ્રીલંકા પ્રવાસમાં અવગણના કરાતાં સોશ્યલ મીડિયામાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. જયદેવે ટ્વિટર પર લખ્યું હતું કે નાનો હતો ત્યારે આ રમતના દિગ્ગજોને રમતા જોઈને પ્રેરિત થયો હતો. આઇપીએલમાં રાજસ્થાન તરફથી રમનાર ઉનડકટે લખ્યું હતું કે ‘૨૦૧૦માં ભારત તરફથી પદાર્પણ કર્યા બાદ એક બોલર તરીકે ધીરે-ધીરે પરિપકવ થયો. યુવાન હતો ત્યારે કેટલાક લોકોએ મને ભૂલો કરનાર એક નાનકડા શહેરથી આવીને મોટાં સપનાંઓ જોનાર યુવક ગણ્યો હતો. જોકે ધીમે-ધીમે એમની ધારણાઓ બદલાઈ. હું પણ પરિપકવ થયો. ખબર નથી આ રમત વગર હું શું હોત? આ રમતે મને ઘણું બધુ આપ્યું છે. મને એ વાતનો પસ્તાવો નથી કે મને કેમ પસંદ કરવામાં નથી આવ્યો? મારો સમય ક્યારે આવશે? મે શું ભૂલ કરી છે? મને અગાઉ પણ તક મળી હતી. હજી પણ તક મળવાની હશે તો મળશે.’