કોહલીએ સૌથી મોટો તહેવાર કેવી રીતે ઊજવવો એની ટિપ્સ આપવાની વાત કરતાં નેટિઝન્સે આપી પ્રતિક્રિયા
વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પરના વિડિયોમાં મંતવ્ય આપ્યા પછી જલેબી અને બીજી મીઠાઈઓની તસવીરો તેમ જ પોતાના અલગ ડ્રેસ સાથેના પોઝ પણ શૅર કર્યા હતા
દિવાળીનો તહેવાર લોકોએ કેવી રીતે ઊજવવો એ બાબતમાં દર વર્ષે કોઈ ને કોઈ સેલિબ્રિટી સોશ્યલ મીડિયા પર મંતવ્ય આપે છે, પરંતુ હાલના કોવિડકાળમાં આ સૌથી મોટો ફેસ્ટિવલ ઊજવવાની બાબતમાં સલાહ વધુ ધ્યાનાકર્ષક બની ગઈ છે. રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કૅપ્ટનપદેથી વિદાય લેનાર વિરાટ કોહલીના તાજેતરના અેક ટ્વીટ પર મિશ્ર પ્રતિક્રિયા આવી હતી. જોકે મોટા ભાગના નેટિઝન્સને તેની આ વણમાગી સલાહ લાગી હતી.
કિંગ કોહલીએ ટ્વીટ કર્યું છે કે ‘આ વર્ષે તમારે તમારા પરિવારજનો અને મિત્રો સાથે દિવાળીના તહેવારને સ્પેશ્યલ અને અર્થપૂર્ણ કેવી રીતે બનાવવો એ વિશે હું આવતાં થોડાં અઠવાડિયાં દરમ્યાન અમુક પર્સનલ ટિપ્સ શૅર કરીશ. મારા પિન્ટરેસ્ટ પ્રોફાઇલ ‘viratkohli’ લિન્કને ફૉલો કરતા રહેજો.’
ADVERTISEMENT
જોકે કેટલાક નેટિઝન્સે પ્રતિક્રિયામાં લખ્યું છે કે કોહલી પર્યાવરણની બાબતમાં બનાવટી ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. બીજા કેટલાકે કોહલીને પોતાના જ્ઞાનનો ઉપયોગ ટ્રોફી જીતવામાં જ કરવાની સલાહ આપી હતી. એક જણે લખ્યું છે, ‘હિન્દુ તહેવારો કેવી રીતે ઊજવવા એની સલાહ આપવાની જાણે ફૅશન ચાલી છે. અમને નથી જોઈતી તેમની ઍડ્વાઇઝ. અમે સદીઓથી આ તહેવાર ઊજવીએ છીએ એટલે અમને કોઈના જ્ઞાનની જરૂર નથી. અમારે આ સંબંધે કોઈ લૉજિક કે અર્થપૂર્ણ સમજની પણ આવશ્યકતા નથી. સલાહસૂચનોનો આવો દેખાડો બંધ કરો.’