T20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે કહ્યું...
T20 વર્લ્ડ કપ 2024 માટેની પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી.
પાકિસ્તાનની વાઇટ બૉલ ટીમના કૅપ્ટન બાબર આઝમે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે વિરાટ કોહલી ભારતના શ્રેષ્ઠ બૅટ્સમેનમાંનો એક છે અને આવતા મહિને યોજાનારા T20 વર્લ્ડ કપમાં તેના બૅટને કન્ટ્રોલમાં રાખવા માટે ચોક્કસપણે રણનીતિ ઘડવામાં આવશે. T20 વર્લ્ડ કપ ૧ જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં શરૂ થશે જેમાં ભારત-પાકિસ્તાન ૯ જૂને ન્યુ યૉર્કમાં ટકરાશે. ૨૯ વર્ષના બાબર આઝમે આશા વ્યક્ત કરી છે કે ગૅરી કર્સ્ટનની વાઇટ બૉલ ફૉર્મેટના મુખ્ય કોચ તરીકેની નિમણૂક સાથે પાકિસ્તાનની ટીમનો પ્રદર્શન-ગ્રાફ ઊંચો જશે. T20 વર્લ્ડ કપ માટે ગઈ કાલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જર્સી લૉન્ચ કરી હતી. T20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન T20 સિરીઝ રમવા આયરલૅન્ડ (૩ મૅચ) અને ઇંગ્લૅન્ડ (૪ મૅચ)ના પ્રવાસે જશે. ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમ્યાન પાકિસ્તાન વર્લ્ડ કપ માટેની પોતાની સ્ક્વૉડની જાહેરાત કરે એવી સંભાવના છે. બન્ને T20 સિરીઝના આધારે પાકિસ્તાન ટીમ મૅનેજમેન્ટ ખેલાડીઓને સ્ક્વૉડ માટે સિલેક્ટ કરશે.
વર્લ્ડ કપ જીતવા પાકિસ્તાની બોર્ડે પોતાના ક્રિકેટરોને આપી એક લાખ ડૉલરની લાલચ
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે જૂનમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ક્રિકેટર્સનો ઉત્સાહ વધારવા અનોખી ઑફર આપી છે. ૨૦૦૯ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ પાકિસ્તાન જો આ વખતે બીજો વર્લ્ડ કપ જીતશે તો ટીમના દરેક ખેલાડીને એક લાખ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી છે. બોર્ડે ઑફર કરેલી ઇનામી રકમ જીતવા પાકિસ્તાની ક્રિકેટર્સ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર ઊતરે એ પહેલાં તેઓ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં આ મહિનામાં T20 સિરીઝ રમવા ઊતરશે. ગઈ કાલે બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ પાકિસ્તાની ક્રિકેટર્સને સંબોધતાં કહ્યું હતું કે દેશને તમારી પાસેથી ઘણી અપેક્ષા છે અને તમારે એ અપેક્ષા પર ખરા ઊતરવું પડશે.