ઇન્ડિયાની ઓપનિંગ જોડી? રોહિત, ધવન અને રાહુલની ત્રિપુટીમાંથી કોની બનશે
ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્માને જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. તસવીર : સુરેશ કરકેરા
ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલના સમયમાં જે પ્રમાણે ફૉર્મમાં ચાલી રહી છે એ ખરેખર કાબિલે તારીફ છે. રોહિત શર્મા, શિખર ધવન અને લોકેશ રાહુલ એ ત્રણેય પ્લેયરો ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવવા ફૉર્મમાં ચાલી રહ્યા છે એમ કહી શકાય, પણ આ પ્લેયરોમાંથી હવે કયા બે પ્લેયરોને રમવા મેદાનમાં ઉતારવા એ ટીમ માટે એક દ્વિધા બની ગઈ છે.
આ બાબતે બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડનું કહેવું છે કે ‘આ ત્રણેયમાંથી કોઈ પણ એક પ્લેયર બહાર બેસે તો મને વાંધો દેખાતો નથી. આ એક સારી વાત છે કે ટીમના પ્લેયર્સ ફૉર્મમાં ચાલી રહ્યા છે. સ્વાભાવિક છે કે રોહિત રમશે અને શિખર તેમ જ રાહુલ પણ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. વન-ડેમાં શિખર સારો પ્લેયર છે. જોકે આ બાબતે ચર્ચા કરવા ટીમ મૅનેજમેન્ટ સાથે બેસશે અને નિર્ણય લેશે.’
નોંધવા જેવી વાત છે કે રોહિત અને રાહુલે નેટમાં સાથે પ્રૅક્ટિસ કરી હતી, જ્યારે શિખરે આરામ કર્યો હતો. સામા પક્ષે જો ટીમ રાહુલ અને ધવનને ઓપનિંગ માટે રમવા ઉતારે તો તેમનું રાઇટ-લેફ્ટ કૉમ્બિનેશન પણ સચવાયેલું રહેશે. એવામાં ટીમ કયા પ્લેયરને લઈને મેદાનમાં રમવાનો નિર્ણય લે છે એ જોવાનું રહેશે. સામા પક્ષે રાહુલને ટીમના વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપવા વિશે પણ વિચારણા કરવામાં આવી શકે છે.