IPL 2025: મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી શિવાલિક શર્મા પર બળાત્કારનો કેસ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
શિવાલિક શર્મા (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ટોપ પર છે. ત્યારે એમઆઇ (MI)ના ક્રિકેટર શિવાલિક શર્મા (Shivalik Sharma)ને રાજસ્થાન પોલીસ (Rajasthan Police) બળાત્કારના કેસમાં શોધી રહી છે. જોધપુર (Jodhpur)ના કુડી ભગતસુની પોલીસ સ્ટેશન (Kudi Bhagatsuni police station)માં IPL ખેલાડી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૪માં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા વડોદરા (Vadodara)ના ક્રિકેટર શિવાલિક શર્માની પસંદગી કરવામાં આવી હતી. શિવાલિક શર્મા પર સગાઈ કર્યા પછી લગ્નનું વચન આપીને એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. તે જ વિસ્તારની એક મહિલાએ જોધપુરના કુડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. કેસ નોંધવામાં આવ્યો તેને સમય થયો છે અને પીડિતાના મેડિકલ અને કોર્ટમાં નિવેદન સહિત અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ ક્રિકેટરને શોધી રહી છે, ખેલાડીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
ADVERTISEMENT

શિવાલિક શર્મા
જોધપુર કમિશનરેટના એસીપી આનંદ સિંહે જણાવ્યું હતું કે, કુડી ભગતસુનીના સેક્ટર 2 ની રહેવાસી એક છોકરીએ આઈપીએલ ક્રિકેટર શિવાલિક શર્મા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રિપોર્ટમાં છોકરીએ જણાવ્યું હતું કે, તે ફેબ્રુઆરી ૨૦૨૩માં ગુજરાત (Gujarat)ના વડોદરા ફરવા ગઈ હતી, ત્યારે તે શિવાલિકના સંપર્કમાં આવી હતી. બંને મિત્ર બની ગયા હતા. ત્યારબાદ ફોન પર વાત કરતા કરતા નિકટતા વધતી ગઈ. આ પછી, બંનેના માતા-પિતા એકબીજાને મળ્યા. શિવાલિકના માતા-પિતા ઓગસ્ટ ૨૦૨૩માં જોધપુર આવ્યા. આ પછી, બંનેની સંમતિથી સગાઈ થઈ. છોકરીના રિપોર્ટ મુજબ, જ્યારે શિવાલિક સગાઈ પછી જોધપુર પાછો આવ્યો, ત્યારે તેમના શારીરિક સંબંધો બંધાયા. બંને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ફરવા ગયા હતા. ઓગસ્ટ ૨૦૨૪માં જ્યારે પીડિતાને વડોદરા બોલાવવામાં આવી ત્યારે શિવાલિકના માતા-પિતાએ તેણીને કહ્યું કે તે એક ક્રિકેટર છે. આવી સ્થિતિમાં, આ સગાઈ ટકી શકે નહીં. તેને બીજી જગ્યાએથી પ્રસ્તાવો મળી રહ્યા છે. આ પછી, આ કેસ નોંધવામાં આવ્યો.
હાલમાં, કેસની સમગ્ર તપાસ પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ કાનૂની પ્રક્રિયાને અનુસરીને આગળ વધી રહી છે. આ સંદર્ભમાં સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા હોવાનું જોધપુર પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. જોકે, પોલીસે આ કેસમાં શિવાલિકની ધરપકડ કરી નથી. શિવાલિક પણ અત્યાર સુધી કોર્ટમાં હાજર થયો નથી. આ કારણે કોર્ટે શિવાલિકને હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તે હાજર નહીં થાય તો તેની સામે વોરંટ જારી કરવામાં આવશે.
નોંધનીય છે કે, વડોદરાનો રહેવાસી શિવાલિક શર્મા વર્ષ ૨૦૨૪માં મુંબઈ ઇન્ડિયન ટીમમાં હતો. ઓલરાઉન્ડર તરીકે, તે રણજી ટ્રોફી (Ranji Trophy)માં વડોદરા માટે પણ રમી ચૂક્યો છે. હાલમાં, તે ક્રિકેટથી દૂર છે, પરંતુ તેની સામેના આરોપોએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.


