સર્જરીને લીધે પોતાનું ૧૦૦ ટકા પ્રદર્શન ન કરી શકતા હાર્દિકે કહ્યું આ....
ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ઑલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા લગભગ દોઢ વર્ષથી કોઈ ટેસ્ટ મૅચ અને લગભગ છેલ્લા ત્રણ મહિનાથી ટી૨૦ મૅચ નથી રમ્યો. તે ઈજાને કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે અને ઈજાગ્રસ્ત થયા બાદ તેણે સર્જરી પણ કરાવી અને હવે તે મેદાન પર કમબૅક કરવાની તૈયારીમાં લાગી ગયો છે. સર્જરી વિશે વાત કરતાં હાર્દિકે કહ્યું હતું કે ‘ઘણા દિવસથી પીઠનો દુખાવો હોવા છતાં હું રમી રહ્યો હતો. મારે સર્જરી ન કરાવવી પડે એવી આશા રાખી રહ્યો હતો અને એ માટે મેં દરેક પ્રયત્ન કર્યા, પરંતુ કોઈ ફાયદો ન થયો. મેં અનુભવ્યું કે હું મારું ૧૦૦ ટકા પ્રદર્શન નહોતો કરી શકતો. હું મારી પૂરી ક્ષમતા સાથે નહોતો રમી શકતો અને એ માટેનું કારણ મારી ઈજા હતી. એનો અર્થ એ પણ હતો કે હું મારી ટીમ અને પોતાની સાથે ન્યાય નહોતો કરી રહ્યો અને એ અહેસાસ થતાં મેં સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.’