પાકિસ્તાની નાગરિકે પોતાનું કબૂતર છોડવાની મોદીજીને વિનંતી કરી
કબૂતર
ભારતના કાશ્મીરની સરહદથી ચારેક કિલોમીટર દૂર પાકિસ્તાનના ગામમાં રહેતા હબીબુલ્લા નામના સ્થાનિક નાગરિકે પોતાના કબૂતરને જાસૂસીના આરોપસર ભારતમાં પકડી રાખવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. હબીબુલ્લાએ તેનાં કબૂતરો શાંતિદૂત હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં ઈદ ઊજવવા માટે મેં એ કબૂતરોને છૂટાં મૂક્યાં હતાં. જોકે પકડાયેલા કબૂતરના એક પગમાં પહેરાવવામાં આવેલી વીંટી પર કોઈ સાંકેતિક સંજ્ઞા છે. એ સંજ્ઞા-કોડ ઉકેલવાનો પોલીસનિષ્ણાતો પ્રયાસ કરી રહ્યા છે.
એ પકડાયેલું કબૂતર પોતાનું હોવાનો દાવો કરનાર હબીબુલ્લા કહે છે કે કબૂતરના પગની વીંટીમાં લખાણ કોઈ કોડ નહીં, પણ મારો મોબાઇલ-નંબર છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના દૈનિક વર્તમાનપત્રના અહેવાલ પ્રમાણે હબીબુલ્લાએ ડઝનેક કબૂર પાળેલાં છે. તેનું કહેવું છે કે ‘મારાં કબૂતર શાંતિનાં પ્રતીક છે. ભારતે એ નિર્દોષ પક્ષીઓને હેરાન કરવા ન જોઈએ.’ ગયા સોમવારે કાશ્મીરના સરહદી ગામના લોકોએ કબૂતરને પકડ્યું હતું. કબૂતરોને કારણે ભારત અને પાકિસ્તાનના વિવાદની આ પ્રથમ ઘટના નથી. ૨૦૧૫ના મે મહિનામાં કાશ્મીરની સરહદ પાસેના ગામના ૧૪ વર્ષના એક છોકરાએ સફેદ રંગનું કબૂતર પકડ્યા પછી પોલીસે એને જપ્ત કર્યું હતું.