આગામી એક વર્ષમાં દેશનો પહેલો ફેસ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) હૉસ્પિટલમાં આગામી એક વર્ષમાં દેશનો પહેલો ફેસ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. આ સુવિધા ઍસિડ-અટૅકના વિક્ટિમ્સ, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતમાં ચહેરો વિકૃત થઈ ગયો હોય એવા લોકો માટે મદદગાર બનશે. AIIMSના બર્ન ઍન્ડ પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટે આ કૉમ્પ્લેક્સ સર્જરી માટે ડૉક્ટરોની ટીમને સ્પેશ્યલ ટ્રેઇનિંગ આપી છે. બહુ જલદી ફેસ-ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે એલિજિબલ હોય એવા અને તૈયાર હોય એવા દરદીઓની યાદી બનાવવામાં આવશે. એ પછી ભારતમાં પહેલી વાર ફેસ-ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવામાં આવશે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૮૦ ફેસ-ટ્રાન્સસપ્લાન્ટ થયા છે. એમાંથી સૌથી વધુ અમેરિકામાં થયા છે. એશિયામાં અત્યાર સુધીમાં ચીન અને ટર્કીમાં પણ આ સર્જરી સફળ થઈ છે. ફેસ-ટ્રાન્સપ્લાન્ટ માટે બ્રેઇન-ડેડ ડોનરના ચહેરાની જરૂર પડે છે. ડોનર અને દરદીના સ્કિનનો કલર, જેન્ડર અને ઉંમરને મૅચ કરવામાં આવે. એ પછી ડોનરના ચહેરાને લઈને બે કલાકની અંદર જ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા શરૂ કરવાની રહે છે. આ સર્જરીમાં ૧૬થી ૪૦ કલાક લાગી શકે છે. સર્જરી પછી શરીર નવા ચહેરાનો સ્વીકાર કરે એ માટે દરદીએ આજીવન ઇમ્યુનિટી સપ્રેસ કરવા માટેની દવા લેવાની જરૂર પડે છે.
