અહેવાલ મુજબ નવીન પ્રસન્ના તરીકે ઓળખાતો પીડિત, લોઅર પરેલમાં તેના ઓફિસથી પાછો ફર્યો હતો અને રાત્રે 10:15 વાગ્યે માહિમ સ્ટેશનની બહાર નીકળ્યો હતો ત્યારે ફૂટપાથ પર ચાલતી વખતે તે આકસ્મિક રીતે બીજા એક વ્યક્તિ સાથે અથડાઈ ગયો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની ચાલતી લોકલ ટ્રેનમાં 22 વર્ષીય મુસાફર મયંક લોહારની આઘાતજનક રીતે હત્યાના બનાવના માત્ર 48 કલાક પછી, શહેરમાં ટ્રેન પરિસરમાં છરીથી હુમલો કરવાની બીજી ઘટના સામે આવી છે, જેનાથી લોકોની સલામતી અને છરીથી થતી હિંસા અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. ગુરુવારે મોડી રાત્રે માહિમ રેલવે સ્ટેશનની બહાર એક અજાણ્યા રાહદારીએ ફૂટપાથ પર થયેલી નાની ઝઘડા બાદ 35 વર્ષીય વ્યક્તિ પર કથિત રીતે અનેક વખત છરી વડે હુમલો કર્યો હતો.
શું છે ઘટના
ADVERTISEMENT
અહેવાલ મુજબ નવીન પ્રસન્ના તરીકે ઓળખાતો પીડિત, લોઅર પરેલમાં તેના ઓફિસથી પાછો ફર્યો હતો અને રાત્રે 10:15 વાગ્યે માહિમ સ્ટેશનની બહાર નીકળ્યો હતો ત્યારે ફૂટપાથ પર ચાલતી વખતે તે આકસ્મિક રીતે બીજા એક વ્યક્તિ સાથે અથડાઈ ગયો હતો. પોલીસની માહિતી મુજબ, આરોપીએ દાવો કર્યો હતો કે અથડામણ દરમિયાન તેનો મોબાઈલ ફોન પડી ગયો અને તૂટી ગયો અને પ્રસન્ના પાસેથી વળતરની માગણી કરી. જ્યારે પ્રસન્ના કથિત રીતે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીએ છરી કાઢી અને ઘટનાસ્થળેથી ભાગી જતા પહેલા તેના પર વારંવાર હુમલો કર્યો. માહિમ પશ્ચિમના પિતામ્બર લેનનો રહેવાસી પ્રસન્ના, પેટમાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો. સ્થાનિક લોકો તેને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં લઈ ગયા. આ ઘટના વિશે વાત કરતાં, પ્રસન્નાના ભાઈ સચિને જણાવ્યું, “મારો ભાઈ લોઅર પરેલમાં એક જાહેરાત, મનોરંજન અને ટૅકનોલૉજી કંપનીમાં ઑફિસ બૉય તરીકે કામ કરે છે. માહિમ સ્ટેશનની બહાર તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાઓ થયા પછી તે લગભગ 15 કલાક સુધી બેભાન રહ્યો હતો.”
માહિમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ હત્યાના પ્રયાસ, ગુનાહિત ધાકધમકી અને શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન સંબંધિત કલમો હેઠળ અજાણ્યા આરોપી સામે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓને શંકા છે કે આરોપી હુમલા પછી તરત જ લોકલ રેલવેમાં ભાગી ગયો હશે. "પ્રાથમિક રીતે, તે ડ્રગ્સનો વ્યસની લાગે છે," એક અધિકારીએ જણાવ્યું, તેમણે ઉમેર્યું કે તેને શોધવા અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
લોકલ ટ્રેનમાં હત્યાની ઘટના હજી તાજી જ છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં નાલાસોપારા જતી લોકલ ટ્રેનમાં મયંક લોહારની હત્યા બાદ લોકોની સુરક્ષાની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદ દરમિયાન ટ્રેનનો દરવાજો બંધ કરવા અંગે થયેલી દલીલ બાદ 30 વર્ષીય રોશન રમેશ સુવર્ણા દ્વારા લોહારની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે, બોરીવલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સુવર્ણાને 30 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. બોરીવલી સરકારી રેલવે પોલીસે (GRP) કોર્ટને જાણ કરી કે આરોપીએ લોહાર પર હત્યાના ઈરાદાથી હુમલો કર્યો હતો અને હત્યાના હથિયારને રિકવર કરવા અને તેના પાછળના કારણની વધુ તપાસ કરવા માટે કસ્ટડી માગી હતી. કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી.
