Supreme Court homebuyers ruling: સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઘર ખરીદનારાઓ તેમના ફ્લેટનો કબજો લીધા પછી પણ વિલંબ માટે રિયલ એસ્ટેટ કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી શકે છે; કોર્ટે આ મામલે NCDRCના આદેશને રદ કર્યો છે
ફાઇલ તસવીર
ઘર ખરીદનારાઓને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઘર ખરીદનાર ફ્લેટનો કબજો લીધા પછી પણ મોડા પઝેશન બદલ બિલ્ડર સામે ફરિયાદ કરી શકે છે. કોર્ટે આ મામલે નેશનલ કન્ઝ્યુમર કમિશન (NCDRC)નો જૂનો આદેશ રદ કર્યો છે.
ફ્લેટનો કબજો લઈ લીધા પછી પણ ઘર ખરીદનાર બિલ્ડરની સર્વિસમાં ખામી સામે ફરિયાદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કબજો મોડો મળ્યો હોય તો પણ ઘર ખરીદનાર વળતર માટે ( કન્ઝ્યુમર ફોરમમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court homebuyers ruling) નેશનલ કન્ઝ્યુમર કમિશનનો આદેશ રદ કરી દીધો છે. NCDRCએ કહ્યું હતું કે ફ્લેટનો કબજો લીધા પછી ઘર ખરીદનાર `ગ્રાહક` ન રહે. કમિશનનું એવું પણ કહેવું હતું કે કબજો લીધા પછી મોડા પઝેશનનું વળતર ન માંગી શકાય. સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દીધી છે.
ADVERTISEMENT
કન્ઝ્યુમર ફોરમમાં જવાનો રસ્તો કોઈ બંધ ન કરી શકે
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે એગ્રીમેન્ટમાં મધ્યસ્થીની શરત હોય તો પણ ઘર ખરીદનાર કન્ઝ્યુમર ફોરમમાં જઈ શકે છે. આર્બિટ્રેશન ક્લોઝના નામે બિલ્ડર ગ્રાહકને ફરિયાદ કરતા રોકી ન શકે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 મુજબ ઘર ખરીદનારને કન્ઝ્યુમર ફોરમમાં જવાનો પૂરો હક છે. આ કાયદો આર્બિટ્રેશન એક્ટ 1996થી ઉપર ગણાય છે, એટલે ગ્રાહકનો અધિકાર પહેલો છે. આ ચુકાદાથી લાખો ઘર ખરીદનારાઓને રાહત મળશે અને બિલ્ડરોની મનમાની પર લગામ લાગશે.
NCRના દ્વારકામાં હાઉસિંગ પ્રોજેક્ટનો આ કેસ છે. ખરીદનારને ફ્લેટનો કબજો મળ્યાને 22 વર્ષ થઈ ગયા હતા. છતાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે મોડા પઝેશન સામે વળતરની અરજી મંજૂર કરી. બેન્ચે કહ્યું કે NCDRCની દલીલ માની ન શકાય. કોર્ટનું માનવું છે કે કબજો લઈ લેવાથી ગ્રાહકનો હક ખતમ નથી થતો. આ ચુકાદો Consumer Protection Act 2019 (ગ્રાહક સુરક્ષા કાયદો 2019)ને વધુ મજબૂત બનાવે છે. હવે જૂના કેસોમાં પણ ઘર ખરીદનાર બિલ્ડર પાસેથી વિલંબનું વળતર માંગી શકશે.
કબજો લીધા પછી પણ વળતરનો હક રહે છે: સુપ્રીમ કોર્ટ
બેન્ચે કહ્યું કે અપીલકર્તાની ફરિયાદ માત્ર કબજો મેળવવાની નહોતી. તેની મુખ્ય ફરિયાદ ફ્લેટનો કબજો મોડો મળવા બાબતે હતી. ખરીદનાર એ વિલંબ બદલ વળતર માંગવાનો હકદાર છે. વળતરનો દાવો કબજો મળ્યા પહેલાના સમય સાથે જોડાયેલો હોય છે. મોડેથી કબજો મળી જાય એટલે વળતર માંગવાનો હક ખતમ ન થાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગ્રાહકનો અધિકાર ફ્લેટ મળ્યા પછી પણ ચાલુ રહે છે. Consumer Protection Act મુજબ સર્વિસમાં ખામી માટે વળતર માંગી શકાય છે. આ ચુકાદો RERA અને કન્ઝ્યુમર ફોરમ બંનેમાં રાહતનો રસ્તો ખોલે છે. હવે બિલ્ડર `કબજો લઈ લીધો` એમ કહીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં. આ નિર્ણયથી દેશભરના લાખો ઘર ખરીદનારાઓને ફાયદો થશે. ખાસ કરીને 2019 પહેલાના જૂના કેસોમાં પણ વળતર માંગી શકાશે.
