કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં વૈદ્ય અશોકરાવ કુલકર્ણીએ અસ્થમા માટે ચમત્કારિક હર્બ્સની ગોળી વહેંચી હતી
કોપ્પલ
દક્ષિણ ભારતમાં અસ્થમા ક્યૉર કરવાનો દાવો કરતા બે પરિવારો પાસેથી ચોક્કસ નક્ષત્રમાં ચમત્કારિક દવા લેવા માટે લાખોની સંખ્યામાં લોકો પડાપડી કરતા જોવા મળે છે. ગઈ કાલે હૈદરાબાદમાં બથિની ગૌડ પરિવાર દ્વારા જીવતી માછલી સાથે ચોક્કસ હર્બ્સનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. એ માટે ખાસ ફ્રેશ નાની માછલીઓ મગાવવામાં આવી હતી અને એક એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા ખાસ ફિશ પ્રસાદમ વહેંચવાના કાર્યક્રમનું આયોજન થયું હતું. લગભગ ૨૦૦ વર્ષથી આ પરિવાર આ રીતે ચોક્કસ ગ્રહ નક્ષત્રોનો સમન્વય થાય ત્યારે ફિશનો પ્રસાદ વહેંચે છે અને એનાથી અસ્થમા મટે છે એવી માન્યતા છે.
આવો જ બીજો કાર્યક્રમ ગઈ કાલે કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં થયો હતો. આ ગામમાં વૈદ્ય અશોકરાવ કુલકર્ણીએ અસ્થમા માટે ચમત્કારિક હર્બ્સની ગોળી વહેંચી હતી. એ માટે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો ઊમટી આવ્યા હતા. વૈદ્યનું કહેવું છે કે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાંથી આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશે ત્યારે ચોક્કસ મુહૂર્તમાં આ દવા લેવામાં આવે છે. આ ખાસ મુહૂર્ત ગઈ કાલે સવારે સાડાસાતથી આઠ વાગ્યા દરમ્યાન હતું. આ વૈદ્ય ૧૦૦ વર્ષથી અસ્થમાની દવા વહેંચતા હોવાનો દાવો કરે છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)