શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સક્રિય : ઉત્તર પ્રદેશના એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ IPS અજય પાલ શર્માની ખાસ તોફાની જિલ્લામાં નિયુક્તિ
ઉત્તર પ્રદેશ પોલીસમાં સિંઘમ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે જાણીતા IPS અજય પાલ શર્મા
આજે પશ્ચિમ બંગાળમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. કુલ ૧૪૨ બેઠકો માટે મતદાન થશે. મતદાનના પહેલા તબક્કામાં તોફાનો અને હિંસક બનાવો બન્યા હતા તેમ જ ગયા અઠવાડિયે કેટલાક ઘરોમાંથી જીવતા બૉમ્બ મળી આવ્યા હતા એટલે ચૂંટણીપંચે સુરક્ષા- વ્યવસ્થાની મજબૂતીનું કામ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપ્યું છે. તોફાની તત્ત્વો મતદાનમાં અડચણ ઊભી ન કરે અને રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓને નિશાન બનાવવા માટે બૉમ્બ જેવા વિસ્ફોટકો ન વાપરે એ માટે NIA દ્વારા સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૨૬ એપ્રિલે દક્ષિણ ૨૪ પરગણાના ભાંગડ ગામમાં મોટી સંખ્યામાં જીવતા બૉમ્બ મળી આવ્યા હતા એ પછીથી આ વિસ્તારમાં તોફાનો હિંસક સ્વરૂપ ધારણ ન કરે એ માટે ખાસ સાવચેતી લેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ પોલીસમાં સિંઘમ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે જાણીતા IPS અજય પાલ શર્માને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના પોલીસ-ઑબ્ઝર્વર તરીકે તહેનાત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતાઓ મમતા બૅનરજી અને અભિષેક બૅનરજીનો ગઢ મનાય છે.
