અજમેરના ‘ઢાઈ દિન કા ઝોંપડા’ વિશે જૈન સંતનો નવો દાવો
પ્રતીકાત્મક તસવીર
મધ્યકાળમાં ભારતમાં બનેલી અનેક મસ્જિદોમાં મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એવા સમયે રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલા ‘ઢાઈ દિન કા ઝોંપડા’ વિશે પણ એક નવો દાવો જૈન સાધુએ કર્યો છે. ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક નેતાઓ સાથે જૈન સંત સુનીલ સાગરમહારાજ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા સંરક્ષિત આ મસ્જિદમાં પહોંચ્યા હતા અને દાવો કરતાં કહ્યું હતું કે આ સ્થળે પહેલાં એક સંસ્કૃત સ્કૂલ હતી અને એના પણ પહેલાં અહીં એક વિશાળ જૈન મંદિર હતું.જૈન સંતના નેતૃત્વમાં કેટલાય લોકો ફવ્વારા ચોકથી દરગાહ બઝાર થઈને આ સ્મારક સુધી પહોંચ્યા હતા. આ વિશે જાણકારી આપતાં અજમેર નગર નિગમના નાયબ મેયર નીરજ જૈને કહ્યું હતું કે જૈન સંત માને છે કે આ સ્થળે સંસ્કૃત મહાવિદ્યાલય પહેલાં એક જૈન મંદિર હતું. આમેય આ સ્મારકનો વિકાસ કરવાની માગણી ઊઠી છે અને એના જૂના ગૌરવને પુનઃ સ્થાપિત કરવામાં આવે એવી માગણી કરી છે. આ સ્મારકમાં એક સ્ટોરરૂમ છે જેમાં અહીંથી મળેલી મૂર્તિઓને રાખવામાં આવી છે. ASIની વેબસાઇટ પર આપેલી જાણકારી મુજબ આ સ્મારક મસ્જિદ છે અને એનું નિર્માણ દિલ્હી સલ્તનતના પહેલા સુલતાન કુતબુદ્દીન ઐબકે ૧૧૯૯માં કરાવ્યું હતું. એ દિલ્હીમાં કુતુબમિનાર પરિસરમાં બનેલી એક મસ્જિદની સમકાલીન છે.