ગુજરાત કેડરના આઇએએસ વીઆરએસ લઈ બીજેપીમાં
ગુજરાત કેડરના આઇએએસ વીઆરએસ લઈ બીજેપીમાં
હાલમાં જ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ (વીઆરએસ) લેનારા ગુજરાત કેડરના આસએએસ અધિકારી એ. કે. શર્મા ગઈ કાલે બીજેપીમાં જોડાયા હોવાનું પક્ષના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના ૧૯૮૮ની બેચના અધિકારી એ. કે. શર્મા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત હોવાનું મનાય છે તથા તેમણે ગુજરાતમાં મોદીજી સાથે કામ પણ કર્યું છે. એ. કે. શર્માએ લખનઉમાં આવેલા પક્ષના હેડ ક્વૉર્ટરમાં રાજ્યના બીજેપી એકમના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને નાયબ મુખ્ય પ્રધાન ડૉક્ટર દિનેશ શર્માની હાજરીમાં પક્ષમાં જોડાયા હતા.
સ્વતંત્ર દેવ સિંહે ટ્વિટર પર તેમને પક્ષમાં આવકારતાં લખ્યું હતું કે ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અરવિંદ કુમાર શર્માનું બીજેપી પરિવારમાં સ્વાગત છે. સબકા સાથ સબકા વિકાસની વિચારધારાને અનુસરનારા એ. કે. શર્માની ક્ષમતા અને સમર્પણને કારણે પક્ષને નવી દિશા મળશે.
બીજેપીના પ્રવક્તા તંદ્ર મોહને જણાવ્યું હતું કે શર્માએ બીજેપી માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હવે તેઓ પક્ષમાં જોડાઈ રહ્યા છે. એ. કે. શર્માએ એવા સમયે પક્ષમાં પ્રવેશ કર્યો છે, જ્યારે બીજેપી ૨૮ જાન્યુઆરીએ થનારી વિધાન પરિષદની ૧૨ બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોનું ચયન કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહી છે. ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ તારીખ ૧૮ જાન્યુઆરી છે.