મંદિર સમિતિના અધ્યક્ષના પર્સનલ અસિસ્ટન્ટને અપાઈ નોટિસ
બદરીનાથ મંદિર
ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મૂકેલા આ આરોપોએ સનસનાટી મચાવી દીધા બાદ હવે મંદિર સમિતિના કર્મચારીઓ અને મંદિર સમિતિના પ્રમુખના પર્સનલ અસિસ્ટન્ટ (PA)ને નોટિસ ફટકારવામાં આવી છે. રામ મંદિરમાં દાનચોરીના વિવાદ બાદ બદરીનાથ ધામમાં પણ આવા આરોપો થતાં ભાવિકોની લાગણી દુભાઈ છે.
ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીએ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાગઢને પત્ર લખીને પ્રસાદમાં કથિત ગેરરીતિઓની તપાસની માગણી કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે મંદિર સમિતિના પ્રમુખના PA સહિત મંદિરના પ્રસાદની ચોરીમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પત્ર મળ્યા બાદ મુખ્ય કાર્યકારી અધિકારીએ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીના PA સહિત કેટલાક કર્મચારીઓને નોટિસ ફટકારી છે.
