પોલીસે જ્યાં અટકાવ્યા ત્યાં જ ધરણા પર બેસી ગયા, વડા પ્રધાનને ૨.૩૦ લાખ અરજીઓ મોકલી
E20 પેટ્રોલનો વિરોધ કરતી અરજીઓ સાથે ગઈ કાલે દિલ્હીમાં રસ્તા પર જ ધરણા પર બેસી ગયેલા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ મંગળવારે E20 પેટ્રોલનીતિના વિરોધમાં વડા પ્રધાનના ઘર સુધી મોરચો નહોતા લઈ જઈ શક્યા. દિલ્હી પોલીસે તેમને અટકાવતાં કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત AAPના નેતાઓ ફિરોઝશાહ રોડ પર જ ધરણાં પર બેસી ગયા હતા.
માર્ચ દરમ્યાન કેજરીવાલે આકરો આક્ષેપ કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના દબાણમાં આવીને કેન્દ્ર સરકાર ત્યાંથી એથનૉલ ખરીદી રહી છે અને દેશની ૩૦ લાખ ગાડીઓ પર થોપી રહી છે. AAPએ દેશભરમાંથી એકઠા કરેલાં ૨.૩૦ લાખથી વધુ પત્રો-યાચિકાઓ પોલીસ મારફત વડા પ્રધાનને સુપરત કર્યાં હતાં.
ADVERTISEMENT
AAPના વિરોધ-પ્રદર્શનના મુખ્ય મુદ્દા અને માગણીઓ
બન્ને વિકલ્પોની ઉપલબ્ધતા : પેટ્રોલ-પમ્પ પર શુદ્ધ પેટ્રોલ અને E20 ઈંધણ બન્ને ખરીદવાનો વિકલ્પ ગ્રાહકોને મળવો જોઈએ.
કિંમતમાં ઘટાડો : E20 ઈંધણના ભાવમાં તાત્કાલિક ધોરણે મોટો ઘટાડો કરવામાં આવે.
મોટા આંદોલનની ચેતવણી: કેજરીવાલે આ નીતિ સામે NEET-UG આંદોલન કરતાં પણ મોટું દેશવ્યાપી આંદોલન ઊભું કરવાની ચીમકી આપી હતી.
