રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના બદલ PMની ઉદ્ધવે કરી પ્રશંસા
અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ટ્રસ્ટની રચના કરવા કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી આપવા બદલ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં આપેલા ઐતિહાસિક ચુકાદામાં આપવામાં આવેલા આદેશ મુજબ વડા પ્રધાન મોદીએ લોકસભામાં રામ મંદિર બાંધવા માટે ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરી હતી.
શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું સરકાર માટે ફરજિયાત હતું. કોર્ટના આદેશનું પાલન કરવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરું છું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સરકારના પગલાને આવકાર્યું હતું.
ADVERTISEMENT
ટ્રસ્ટના કુલ ૧૫ સભ્યોમાં એક સભ્ય શેડ્યુલ્ડ કાસ્ટનો હોવાની કાયમી જોગવાઈ બીજેપી સરકારનો સમાવિષ્ટ અભિગમ સૂચવે છે. એમએનએસના વડા રાજ ઠાકરેએ રામ મંદિરનું બાંધકામ જલદી કરવામાં આવશે એવી આશા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને ત્રણ મહિનાના સમયગાળામાં ટ્રસ્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલી સમયમર્યાદા ૯ ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. સરકાર સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા પણ સહમત થઈ છે.