પાળેલાં જનાવરોને બચાવવા દેવદૂતો પૃથ્વી પર ઊતર્યા
પ્રતીકાત્મક તસવીર
પરિવારને ક્વૉરન્ટીન કરાયા બાદ તેમનાં પાળેલાં પ્રાણીઓને સંભાળવા માટે દોડી ગયેલા પ્રાણીપ્રેમીઓ જણાવે છે કે તેમણે અત્યાર સુધીમાં આવાં અનેક પક્ષીઓ, ડોગી અને કાચબાઓને બચાવ્યાં છે. હાલમાં જ પ્રાણીપ્રેમીએ જપાનીઝ સ્પીટ્ઝ (પોમરેનિયન) ને શોધી કાઢી તેને બચાવ્યો હતો. નવી મુંબઈના કામોઠેમાં રહેતા આ ડોગીના છ માસના સગર્ભા માલિકને કોરોના વાઇરસનો ચેપ લાગતાં તેના આખા પરિવારને ક્વૉરન્ટીન કરાયો હતો, પરંતુ આ ડોગી એકલો રહી ગયો હતો.
એક્ટિવિસ્ટ વિજય રંગારેને ડોગી વિશે તેના પાડોશી પરિવાર દ્વારા જાણ કરાતાં તેણે સ્થાનિક પોલીસ અને પાલિકાના અધિકારીઓ સાથે પહોંચી જઈને ડોગીનું ચેકિંગ કરાવ્યા બાદ તેને આશ્રયસ્થાનમાં મૂક્યો હતો. રંગારેએ જણાવ્યું હતું કે તેને જ્યારે પરિવારવિહોણા થઈ ગયેલા પોમરેનિયન વિશે જાણ થઈ તો તે તુરંત જ પહોંચી ગયો હતો પરંતુ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું હોઈ તેણે પોલીસ અને પાલિકાની મદદથી સોસાયટીમાં પ્રવેશ કરી ડોગીને ઘરમાંથી બહાર કાઢી નવડાવીને નવી મુંબઈના શેલ્ટરમાં મોકલી તેના પરિવારને તે વિશે જાણ કરી હતી.