જરાંગેએ કહ્યું, "હું મૃત્યુને ભેટીશ પણ શરણાગતિ સ્વીકારીશ નહીં." તેમણે આંદોલન પહેલા સરકારને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે આઠ દિવસનો સમય આપ્યો. તેમણે કહ્યું કે તેમના સમર્થકો કેટલાક મંત્રીઓને રાજકીય ચેતવણીઓ પણ આપી શકે છે.
મનોજ જરાંગે પાટીલ
મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે પ્રસ્તાવિત મુંબઈ માર્ચ દરમિયાન તેમને નિશાન બનાવવાનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. મુંબઈ પોલીસે તેમના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. રવિવારે મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં સમર્થકો અને મીડિયા સાથે વાત કરતા, જરાંગેએ આરોપ લગાવ્યો કે શાસક પક્ષો સાથે સંકળાયેલા લોકોને તેમની માર્ચમાં વિક્ષેપ પાડવા અને તેમને નિશાન બનાવવા માટે મોકલી શકાય છે. રવિવારે તેમની ભૂખ હડતાળનો 16મો દિવસ હતો.
`હું મૃત્યુને ભેટીશ પણ શરણાગતિ નહીં સ્વીકારીશ`
ADVERTISEMENT
જરાંગેએ કહ્યું, "હું મૃત્યુને ભેટીશ પણ શરણાગતિ સ્વીકારીશ નહીં." તેમણે આંદોલન પહેલા સરકારને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે આઠ દિવસનો સમય આપ્યો. તેમણે કહ્યું કે તેમના સમર્થકો કેટલાક મંત્રીઓને રાજકીય ચેતવણીઓ પણ આપી શકે છે. જરાંગેએ કહ્યું, "જ્યારે કોઈ સાપની પૂંછડી પર પગ મુકશે, ત્યારે આપણે જવાબ આપવો પડશે." તેમણે આરોપ લગાવ્યો કે શાસક પક્ષો સાથે સંકળાયેલા લોકો તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે મુંબઈ તરફના પ્રસ્તાવિત મરાઠા કૂચને વિક્ષેપિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
15 સપ્ટેમ્બરે મુંબઈ જવા રવાના થવાની જાહેરાત
શનિવારે, જરાંગેએ જાહેરાત કરી કે તેઓ 15 સપ્ટેમ્બરે તેમના સમર્થકો સાથે મુંબઈ જવા રવાના થશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ 19 સપ્ટેમ્બરે આઝાદ મેદાન ખાતે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરશે. તેમણે ગણેશોત્સવ દરમિયાન કૂચનું આહ્વાન કર્યું છે. રવિવારે, જરાંગેએ દાવો કર્યો કે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના કેટલાક મરાઠા ધારાસભ્યો તેમના સમર્થકોને બોલાવી રહ્યા હતા અને કૂચમાં ભાગ ન લેવા માટે કહી રહ્યા હતા.
`તેઓ મને નિશાન બનાવવા માગે છે`
જરાંગેએ આરોપ લગાવ્યો કે કૂચ દરમિયાન તેમને ગોળી મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, "તેઓ મરાઠાઓને મારવા માગતા નથી, તેઓ મને નિશાન બનાવવા માગે છે. પરંતુ હું શરણાગતિ સ્વીકારીશ નહીં." તેમણે પોતાના સમર્થકોને કહ્યું કે જો તેઓ ડરતા હોય તો કૂચમાં જોડાઓ નહીં. તેમણે તેમને મુંબઈ કૂચ કરવા અને જો જરૂરી હોય તો તેમની અંતિમયાત્રામાં જોડાવા માટે પણ અપીલ કરી. મુંબઈ કૂચ માટે પરવાનગી માટે અરજી કરી હોવાનું જાહેર કરતાં જરાંગે કહ્યું, "હું મુંબઈ જઈ રહ્યો છું. મારો વાંક શું છે? શું હું કોઈ કાયદો તોડી રહ્યો છું? જો તમે કોઈ શરતો લાદવા માંગતા હો, તો કૃપા કરીને તે કરો." જરાંગે કહ્યું, "જ્યારે અમે શિંદેનું સન્માન કરતા હતા, ત્યારે મરાઠાઓ તેમને પ્રિય હતા. જો ફડણવીસ અમારી બધી માગણીઓ સ્વીકારે અને યુદ્ધ જીતી જાય, તો બીજાઓનું શું થશે?" તેમણે કહ્યું કે તેઓ પોતાની કે તેમના સહયોગીઓ સામે કોઈપણ સરકારી તપાસથી ડરતા નથી. "હું મૃત્યુ સ્વીકારીશ પણ આત્મસર્પણ નહી કરું," જરાંગેએ કહ્યું. ગયા વર્ષે 29 ઑગસ્ટના રોજ જરાંગેએ મરાઠા આરક્ષણની માગણી સાથે મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ પણ કરી હતી. સરકારે તેમની કેટલીક માગણીઓ સ્વીકાર્યા બાદ વિરોધ પ્રદર્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
