દરેક સૅમ્પલ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલાતું ન હોવાથી કેટલાં સંક્રમણ ઓમાઇક્રોનનાં છે અને કેટલાં ડેલ્ટાનાં એના ચોક્કસ આંકડા મેળવી શકાતા નથી. દૈનિક કેસ ઘટ્યા હોવા છતાં ગંભીર કેસનો આંક ૫૦૦ કરતાં વધુ
COVID-19
સુધરાઈએ શહેરમાં આવી રહેલા પૅસેન્જરોનું અનિશ્ચિત ધોરણે ટેસ્ટિંગ ચાલુ રાખ્યું છે. ગુરુવારે લેવાયેલી આ તસવીર દાદર સ્ટેશનની છે. (તસવીર : આશિષ રાજે)
કોરોનાના દૈનિક કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, પણ કોરોનાના ગંભીર દરદીઓની સંખ્યા વધીને ૫૮૪ થઈ ગઈ છે. આ દરદીઓ મોટા ભાગે કો-મૉર્બિડિટી ધરાવતા સિનિયર સિટિઝન્સ છે. ૧થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન શહેરમાં ૧૨૪ વ્યક્તિનાં કોરોનાથી મોત થયાં હતાં.
શહેરમાં સળંગ ચાર દિવસ સુધી ૨૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા બાદ ૧૦ જાન્યુઆરીએ ઍક્ટિવ કેસનો આંક ૧.૧૭ લાખ પર પહોંચ્યો હતો. હવે ઍક્ટિવ કેસ ઘટીને ૩૦,૦૦૦ થઈ ગયા છે, પણ હૉસ્પિટલાઇઝેશનનો દર ઘટ્યો નથી. અત્યારે વિવિધ હૉસ્પિટલોમાં ૪૫૭૧ વ્યક્તિઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૨૦૪૧ ઑક્સિજન બેડ પર છે તથા ગંભીર દરદીઓની સંખ્યા વધીને ૫૮૪ થઈ છે.
ડિસેમ્બરમાં અત્યાર સુધીનાં સૌથી ઓછાં ૪૦ મોત નોંધાયાં હતાં. નવેમ્બરમાં ૮૯ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અત્યારે પણ મોટા ભાગના કેસ કો-મૉર્બિડિટી ધરાવનારા સિનિયર સિટિઝન્સના છે. ત્રણથી ચાર દિવસ સુધી હૉસ્પિટલની સારવાર બાદ ૯૦ ટકા દરદીઓને રજા અપાય છે, પણ ગંભીર દરદીઓને વધુ દિવસ રહેવું પડે છે અને આથી સંખ્યા વધી હોવાનું જણાય છે એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ‘પૉઝિટિવ દરદીઓનાં તમામ સૅમ્પલ્સ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલાતાં ન હોવાથી કેટલા ઓમાઇક્રોન અને કેટલા ડેલ્ટાનું સંક્રમણ ધરાવે છે એ ચોક્કસપણે કહી શકાય એમ નથી.’