નવઘર પોલીસે પત્ની અને સાસરિયાંઓ સામે ગુનો દાખલ કર્યો છે
પ્રતીકાત્મક તસવીર
પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ભાઈંદરની ખાડીમાં છલાંગ મારીને આત્મહત્યા કરી લેતાં નવઘર પોલીસે પત્ની અને સાસરિયાંઓ સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મરનાર ૩૮ વર્ષનો અભિજિત કુર્ડેકર ૧૮ સપ્ટેમ્બરે ગુમ થઈ જતાં કંપનીના તેના સહ-કર્મચારીઓએ તેના નાના ભાઈ પંકજને ૨૦ સપ્ટેમ્બરે અભિજિત બે દિવસથી ઑફિસ ન આવતો હોવાની જાણ કરી હતી.
ADVERTISEMENT
મરનારની પત્ની ૩૦ વર્ષની નિકિતાને અભિજિત વિશે પૂછ્યું હતું અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું, પણ નિકિતાએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરીને પંકજને જણાવ્યું હતું કે મેં વિવિધ સ્થળોએ અભિજિતને જોયો હતો.
૨૯ સપ્ટેમ્બરે પંકજે નવઘર પોલીસ-સ્ટેશન જઈને અભિજિત ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી મિલિંદ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમે તપાસ હાથ ધરીને નિકિતાની પૂછપરછ કરી હતી, પણ તેણે અભિજિત નવી મુંબઈ ગયો હોવાની, તો કેટલીક વાર પાલઘર અને બીજા કોઈ ઠેકાણે ગયો હોવાની ખોટી માહિતી આપીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આખરે પોલીસે એ વિસ્તારનું સીસીટીવી કૅમેરા ફુટેજ તપાસતાં હકીકત બહાર આવી હતી. નિકિતાએ ૧૭ સપ્ટેમ્બરે અભિજિત પર હુમલો કરીને તેને તેના સામાન સહિત ઘરની બહાર હાંકી કાઢ્યો હતો. પાંચમી નવેમ્બરે પોલીસને વસઈના બીચ પરથી અભિજિતનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ભાઈએ મૃતદેહ ઓળખી કાઢ્યો હતો.