વધુમાં ધર્માંતરણની ૨૫ દિવસની અંદર સત્તાધિકારી પાસે નોંધણી કરાવવી જરૂરી છે, નહીંતર એને રદબાતલ ગણવામાં આવશે
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર કૅબિનેટે ગુરુવારે ધર્માંતરણ પ્રતિબંધ ખરડાના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી જે અન્ય ધર્મ અપનાવતાં પહેલાં સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લેવી ફરજિયાત બનાવે છે.
એક અધિકારીએ ખરડામાંની જોગવાઈઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘જે વ્યક્તિ ધર્માંતરણ કરવા માગે છે તેણે ધર્માંતરણ કરતાં પહેલાં ૬૦ દિવસની નોટિસ આપવી પડશે અને નિયુક્ત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. વધુમાં ધર્માંતરણની ૨૫ દિવસની અંદર સત્તાધિકારી પાસે નોંધણી કરાવવી જરૂરી છે, નહીંતર એને રદબાતલ ગણવામાં આવશે.’
જો ધર્માંતરણ કરવા માગતી વ્યક્તિના લોહીના સંબંધીઓ એને ગેરકાયદે હોવાની ફરિયાદ કરશે તો પોલીસ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધશે અને બિલ મુજબ તપાસ કરશે.
ADVERTISEMENT
ખરડામાં જણાવાયું છે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં બળજબરી, છેતરપિંડી અથવા લાલચ દ્વારા ધર્માંતરણ કરવાનો અધિકાર સામેલ નથી, પરંતુ આવા ગેરકાયદે ધર્માંતરણથી સુરક્ષિત રહેવાનો અધિકાર સામેલ છે.
