એક દેશ અને એક કાનૂન હોય તો-તો દરેક બૅન્કમાં એકસરખો સર્વિસ-ચાર્જ હોવો જોઈએ
પ્રતીકાત્મક તસવીર
મુલુંડનાં જિગીશા રાંભિયા સોની કહે છે... શહેરના રસ્તા સમથળ થવા જોઈએ, જનતાના પૈસાનો વેડફાટ બંધ થવો જોઈએ
ADVERTISEMENT
અત્યાર સુધી મેં દરેક વખત મતદાન કર્યું છે, સૌપ્રથમ તો ચૂંટાઈ આવનાર જનપ્રતિનિધિ પાસે એ જ અપેક્ષા છે કે શહેરના રસ્તા સમથળ થવા જોઈએ એમ જણાવતાં પ્રોફેશનલ સિંગર જિગીશા રાંભિયા સોની કહે છે, ‘એક વર્ષમાં જે રસ્તા અને ફુટપાથનું કામ થાય છે એ જ રસ્તા અને અને ફુટપાથ બીજા વર્ષે પાછાં ખોદી અને એના પર પાછું કામ કરવામાં આવે છે. એમાં માત્ર જનતાના પૈસાનો વેડફાટ થાય છે. એ માટે આવનારી સરકારે કોઈ નીતિ તૈયાર કરવી જોઈએ. BMC સફાઈકામ પર ધ્યાન નથી આપતી. સરકારે એના માટે પણ થોડા નીતિનિયમો ઘડવા જોઈએ. રસ્તા પર માત્ર CCTV કૅમેરા બેસાડી વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે પણ ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટા દૂરથી દેખાય એવી રીતે એનું મેઇન્ટેનેસ કરવામાં આવતું નથી. જનપ્રતિનિધિએ આવી ઝીણી-ઝીણી બાબતો, જેનાથી સ્થાનિક જનતાને ફરક પડતો હોય એવી બાબત સરકાર સમક્ષ મૂકવી જોઈએ જેથી એનો કોઈ નિવેડો આવી શકે.’
થાણેનાં સુશીલા વોરા કહે છે... એક દેશ અને એક કાનૂન હોય તો-તો દરેક બૅન્કમાં એકસરખો સર્વિસ-ચાર્જ હોવો જોઈએ
ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, જેથી જનતાને સારી સેવા આપી શકાય, એવી જ રીતે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાનામાં નાના લોકોને જનધન ખાતા દ્વારા બૅન્ક સુધી પહોંચાડ્યા જેથી કેન્દ્રમાંથી મળતી સહાયનો લાભ દરેકને મળી શકે એમ જણાવતાં થાણેમાં રહેતાં ગૃહિણી સુશીલા વોરા કહે છે, ‘પરંતુ બૅન્ક દ્વારા જુદી-જુદી સર્વિસને નામે ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ બંધ કરવા જોઈએ. મિનિમમ બૅલૅન્સ, ચેકબુક ચાર્જ, બૅન્કમાં જમા અને ઉપાડનો ચાર્જ, ATM ચાર્જ, ડેબિટ કાર્ડ ચાર્જ, ચેક રિટર્ન ચાર્જ દરેક બૅન્કમાં અલગ હોય છે. જો દરેક બૅન્ક RBIના માર્ગદર્શન પ્રમાણે ચાલતી હોય તો અલગ-અલગ ચાર્જ કેમ હોય છે? જો એક દેશ અને એક કાનૂનની વાત થતી હોય તો દરેક બૅન્કમાં એકસરખો સર્વિસ-ચાર્જ હોવો જોઈએ. જનપ્રતિનિધિ પાસે મારી અપેક્ષા છે કે આ વાત નાણાપ્રધાન પાસે રજૂ કરાવીને સંસદમાં આ પ્રશ્ન ઉપાડવો જોઈએ અને બૅન્ક દ્વારા ખોટી વસૂલી બંધ કરાવીને જનતાને રાહત આપવી જોઈએ.’