એનસીપીના સ્થાપક પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેને પચીસ વર્ષ બાદ મળ્યા
શરદ પવાર ગઈ કાલે કટ્ટર વિરોધી અને પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેના પુણેના નિવાસસ્થાને ગયા હતા
ભત્રીજા અજિત પવારે પાર્ટી હાઇજૅક કરી લીધા બાદ મુશ્કેલીમાં મુકાયેલા શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં પુત્રી સુપ્રિયા સુળેની બારામતી બેઠક બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. પોતાની સાથે પુત્રીની ઇજ્જત બચાવવા શરદ પવાર ગઈ કાલે કટ્ટર વિરોધી અને પીઢ કૉન્ગ્રેસી નેતા અનંતરાવ થોપટેના પુણેના નિવાસસ્થાને ગયા હતા. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની સાથે કૉન્ગ્રેસ પણ સામેલ છે એટલે બારામતીમાં સહયોગ મેળવવા માટે શરદ પવારે આ મુલાકાત કરી હોવાનું કહેવાય છે.
દાયકાઓથી કૉન્ગ્રેસ સાથે જોડાઈ રહેલા થોપટે પરિવારના અનંતરાવ મહારાષ્ટ્ર વિધાનસભામાં છ વખત ચૂંટાઈ આવ્યા હતા. આથી તેઓ એક સમયે મુખ્ય પ્રધાનપદના દાવેદાર હતા ત્યારે શરદ પવારે તેમની પાસેથી આ તક આંચકી લીધા બાદ બન્ને નેતાઓના સંબંધ ખરાબ થઈ ગયા હતા. ત્યાર બાદ શરદ પવાર અને અનંતરાવ થોપટે ક્યારેય નહોતા મળ્યા. ગઈ કાલે શરદ પવાર અનંતરાવને મળ્યા ત્યારે તેમણે તેમની તબિયતની પૃચ્છા કરી હતી.