અત્યાર સુધીની તપાસ પરથી આ કારણ હોવાનું સામે આવી રહ્યું છે : ડ્રાઇવરે પણ પોતે પાવર સ્ટીઅરિંગથી કમ્ફર્ટેબલ ન હોવાનું પોલીસને કહ્યું
૭ જણનો ભોગ લેનાર બસ-અકસ્માતના આરોપી ડ્રાઇવર સંજય મોરેને કોર્ટમાં લઈ જવાયો હતો. કોર્ટે તેને ૨૧ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.
કુર્લા બસ-ઍક્સિડન્ટમાં શા કારણે અકસ્માત થયો એ વિશે અનેક કારણો ચર્ચાઈ રહ્યાં છે, જેમાં એક કારણ એવું બહાર આવી રહ્યું છે કે ડ્રાઇવર સંજય મોરેને પાવર-સ્ટીઅરિંગવાળી ઇલેક્ટ્રિક બસ ચલાવવાનો અનુભવ ન હોવાથી આ દુર્ઘટના થઈ છે.
પહેલાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે સંજય મોરે દારૂ પીને બસ ચલાવી રહ્યો હતો અથવા તો બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી, પરંતુ પોલીસે આ બન્ને થિયરી નકારી કાઢી છે. બ્લડટેસ્ટના રિપોર્ટમાં ડ્રાઇવરે દારૂ ન પીધો હોવાનું સ્પષ્ટ થયું છે. બસની ચકાસણી કરનાર એક્સપર્ટે પ્રાથમિક રિપોર્ટમાં કહ્યું છે કે બસમાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી અને એની બ્રેક પણ ફેલ નહોતી થઈ.
ADVERTISEMENT
કોવિડના લૉકડાઉન પછી સંજય મોરે બેસ્ટમાં કૉન્ટ્રૅક્ટ પર ડ્રાઇવર તરીકે લાગ્યો હતો. ત્યારથી તે નાની-મિની બસ ચલાવી રહ્યો હતો. એ પછી હાલમાં જ તેને મોટી ઇલેક્ટ્રિક બસ ચલાવવા અપાઈ હતી. એ બસ ચલાવવા માટે તેને ૧૦ દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જોકે અપૂરતી ટ્રેઇનિંગ અને પૂરતી માહિતીના અભાવને કારણે તેનાથી આ અકસ્માત થયો એમ કહેવાય છે.
મૂળમાં પાવર-સ્ટીઅરિંગવાળાં વાહનોમાં વળાંક લેવા માટે સ્ટીઅરિંગ-વ્હીલ બહુ ફેરવવું પડતું નથી. સહેજ ફેરવો ત્યાં ટર્ન લેવાઈ જાય છે. જૂની બસ ચલાવી રહેલા સંજય મોરેને પાવર-સ્ટીઅરિંગની બસ ચલાવવાનો ઓછો અનુભવ અકસ્માતનું કારણ બન્યો કે કેમ એ બાબતની તપાસ હવે ચાલી રહી છે.
એવું કહેવાય છે કે ડ્રાઇવર સંજય મોરેએ પણ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં પાવર-સ્ટીઅરિંગ ફાવતું ન હોવાનું કબૂલ્યું છે. તેણે પોતે કન્ફ્યુઝ થઈ ગયો હોવાનું પણ કહ્યું છે.


