નૂતનદીક્ષિત સાધ્વીરત્નાના શ્રીમુખેથી માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે આ ઐતિહાસિક અવસર વિરામ પામ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
સંસારનાં સુખોમાં ભાન ભૂલીને જીવનને વ્યર્થ કરી દેનારા આ જગતના અનેક લોકોની વચ્ચે જેના અંતરમાં અણગાર બનવાનું અલાર્મ વાગી જાય એવા આત્મા કદી સંસારમાં રહેતા નથી ત્યારે મારા હૃદયમાં આવું અલાર્મ ક્યારે વાગશે એવો અફસોસ કરી લેવાનો સંદેશ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે મુમુક્ષુ શ્રી યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુને સંસારથી ઉગારી દીક્ષાનાં દાન અર્પણ કરવા યોજાયેલો દીક્ષા મહોત્સવ અનેકની હૃદયધરા પર સંયમભાવનાનાં બીજનું વાવેતર કરી ગયો હતો.
શ્રી સી. વી. શાહ પરિવારના આંગણેથી વહેલી સવારના સમયે સંસારને અલવિદા કરતી દીક્ષાર્થીની મહાભિનિષ્ક્રમણ યાત્રા જયકારના ગુંજારવ સાથે શ્રી માલિનીબેન કિશોરભાઈ સંઘવી, શાંતિપ્રભા હૉલ, ઋતંભરા વિશ્વ વિદ્યાલય ખાતે પધારી હતી જ્યાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો. શ્રી વિલે પાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે યોજાયેલા આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે આજના યુગના યુવાનો જ્યારે દરરોજ સવાર પડે ને માતા-પિતા પાસે પોતાના સુખ માટેની, મોજશોખ માટેની ડિમાન્ડ કરીને પોતાનું જીવન વ્યર્થ કરી રહ્યા છે ત્યારે ૨૧ વર્ષની યુવાન વયે, સ્વજનોની લાગણી, દરેક પ્રકારના મોહ અને સંસારને ત્યજીને પ્રભુમાર્ગે જઈ રહેલા આવા મુમુક્ષુ આત્માને જોઈને આજે એક અફસોસ કરી લઈએ કે તે તરી ગયા અને અમે રહી ગયા.
ADVERTISEMENT
સંસારી વસ્ત્રો ત્યજીને પ્રભુનો વેશ સજીને પધારેલા મુમુક્ષુ આત્માને પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષામંત્રની અર્પણતા સાથે દિવ્યલોકના વરદાનસમા રજોહરણનાં દાન અર્પણ કરવામાં આવતાં જયનાદનો નાદ પ્રસરાઈ ગયો હતો. એ સાથે જ દીક્ષાર્થીના નૂતન નામકરણ સાથે ગોંડલ સંપ્રદાયમાં નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજીરૂપે ઘોષિત કરવામાં આવ્યાં હતાં. નૂતનદીક્ષિત સાધ્વીરત્નાના શ્રીમુખેથી માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે આ ઐતિહાસિક અવસર વિરામ પામ્યો હતો.