કોરોનાનો ડેન્જરસ સ્ટ્રેન મુંબઈ લૅન્ડ થયો છે ખરો?
187 - આજે યુકેથી આવેલા આટલા પ્રવાસીઓની આરટી-પીસીઆર ટેસ્ટ થશે
યુનાઇટેડ કિંગડમ (યુકે-બ્રિટન)માં ફેલાયેલા નવા પ્રકારના વાઇરસને કારણે ભારતમાં બુધવારથી ૩૧ ડિસેમ્બર સુધી યુકેથી આવતી-જતી ફ્લાઇટ્સને સરકારે રદ કરી છે. તાજેતરમાં પાંચમાંથી ત્રણ ફ્લાઇટ્સ યુકેથી મુંબઈ પહોંચી હતી જેમાં કુલ ૫૯૦ પૅસેન્જર્સ મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા હતા; જેઓમાંના ૧૮૭ મુંબઈના, ૧૬૭ મહારાષ્ટ્રના અને ૨૩૬ મહારાષ્ટ્રની બહારના છે.
સોમ-મંગળવાર દરમ્યાન યુકેથી મુંબઈ આવેલી ફ્લાઇટ્સના બધા પૅસેન્જર્સને અલગ-અલગ હોટેલમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરન્ટીન કરાયા છે અને તેઓનું આરટી-પીસીઆર ટેસ્ટિંગ આજે કરવામાં આવશે, જેનો રિપોર્ટ ૬થી ૧૨ કલાક સુધી આવશે.
ADVERTISEMENT
આ બાબતે માહિતી આપતાં ઍડિશનલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે લોકો યુકેથી મુંબઈ ૨૧ ડિસેમ્બરે લૅન્ડ થયા છે તેઓનું પાંચ દિવસ પછી એટલે કે શનિવારે સવારથી આરટી-પીસીઆર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે જેનું રિઝલ્ટ અમારી પાસે ૬થી ૧૨ કલાકમાં આવશે એ પછી જે લોકોનું પૉઝિટિવ રિઝલ્ટ આવશે એવા દરદીઓનાં સૅમ્પલ આનુવાંશિક પરીક્ષણ માટે એનઆઇવી-પુણે મોકલવામાં આવશે. આ પરીક્ષણ દ્વારા જાણી શકાશે કે કોરોના વાઇરસ સ્ટ્રેનથી મળતો આવે છે કે નહીં. જે લોકોનો રિપાર્ટ નેગેટિવ આવશે એવા લોકો પર ૨૮ દિવસ સુધી નજર રાખવામાં આવશે. ૨પ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી ૧૫૮૭ લોકો ઇંગ્લૅન્ડથી ભારત આવ્યા હતા.
લંડનથી આવેલી ઔરંગાબાદની મહિલા કોરોના-પૉઝિટિવ
લંડનમાં કોરોનાનો ન્યુ સ્ટ્રેન સામે આવતાં ભયનું વાતાવરણ છે ત્યારે ઔરંગાબાદમાં ૫૭ વર્ષની એક મહિલા કોરોના-પૉઝિટિવ હોવાનું જણાતાં અહીં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે પ્રશાસને આ મહિલાને તાત્કાલિક આઇસોલેશન સેન્ટરમાં રાખીને તેની સારવાર ચાલુ કરી દીધી છે. તેનું સ્વૅબ-સૅમ્પલ પુણેની એનઆઇવી લૅબમાં મોકલી દેવાયું છે. એનો રિપોર્ટ આવ્યા બાદ આ મહિલાને બ્રિટનના નવા વાઇરસનું સંક્રમણ થયું છે કે નહીં એ સ્પષ્ટ થશે. ૨૫ નવેમ્બરથી અત્યાર સુધી ઔરંગાબાદ શહેરમાં ૪૪ લોકો વિદેશથી આવ્યા છે એ તમામને શોધી કાઢીને તેમની ટેસ્ટ કરવામાં આવશે. જોકે હજી સુધી ૧૩ વ્યક્તિનો પત્તો મેળવવાનો બાકી છે.