ગેરકાયદે બાંધકામોને અને એ કરનારાઓને ઇનડાયરેક્ટ્લી સિક્યૉરિટી આપવામાં આવે છે એ ચલાવી ન શકાય એવી આકરી ટિપ્પણી કરીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાલઘરમાં કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનનો ઑર્ડર આપતી વખતે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકાર, સુધરાઈ અને પોલીસને આવાં ગેરકાયદે બાંધકામો કરનારા લોકો વિરુદ્ધ કડક પગલાં ન લઈને તેમને જ સિક્યૉરિટી આપતા રાજ્ય પ્રશાસનને બરાબરનું ખખડાવ્યું છે અને કહ્યું છે કે એનું આ બેવડું ધોરણ કોર્ટને મંજૂર નથી, આવું ચલાવી ન શકાય. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ કમાલ ખાતાએ ઑર્ડરમાં કહ્યું હતું કે કાયદાનું રક્ષણ કરનારાઓ દ્વારા જ આ બદલ કોઈ ઍક્શન લેવાતી ન હોવાથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ જન્મ લે છે અને એ સામાજિક ઊથલપાથલ સર્જે છે.કોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘નાછૂટકે અમારે લોકલ ઑથોરિટી, કૉમ્પિટન્ટ ઑથોરિટી અને સુધરાઈ દ્વારા નિયમિત ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ આપીને એ પછી ડિમોલિશનની કડક કાર્યવાહી કરાતી નથી એ બાબતની કાયદેસરની નોંધ લેવી પડે છે. એ ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરો અને ડેવલપરો પાસેથી એ બદલનો દંડ વસૂલ કરવો એ તો સ્વપ્નવત્ છે અને ચુકાદાને આવતાં દાયકો લાગી શકે છે.’કોર્ટે નોંધ્યું હતું કે ‘બિલ્ડર-ડેવલપર, સરકારી અધિકારીઓ અને પોલીસ સાથે મળીને આવી ગેરરીતિ આચરે છે અને તેમની સામે થનારી કડક કાર્યવાહીથી બચતા ફરે છે. રાજ્ય સરકારે આ દૂષણને નાથવા અસરકારક પગલાં લીધાં નથી. આપણા શહેરમાં જ ૫૦ ટકા કરતાં વધારે ગેરકાયદે સ્ટ્રક્ચર્સ છે. કાયદો તોડનારાને જ ઇનડાયરેક્ટ્લી સંરક્ષણ પૂરું પાડવામાં આવે એ અનઍક્સેપ્ટેબલ છે. રાજ્ય સરકારની આ બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ છે. અમે એને વખોડીએ છીએ.

