પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરો પરથી પ્રાપ્ત APK ફાઇલો ડાઉનલોડ ન કરવાની અથવા ન ખોલવાની સલાહ આપી છે.
પ્રતીકાત્મક તસવીર
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડરોની વધતી ડિમાન્ડ અને OTP આધારિત ડિલિવરી સિસ્ટમની રજૂઆત વચ્ચે મુંબઈ પોલીસના સાઇબર સેલે ગૅસ-કન્ઝ્યુમર્સને લક્ષ્ય બનાવીને સંભવિત ઑનલાઇન છેતરપિંડી થઈ શકે છે એટલે એ બાબતે ચેતવણી આપી છે. કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સાઇબર અધિકારીએ જણાવ્યું હતું કે ‘છેતરપિંડી કરનારાઓ અજાણ્યા નંબરો પરથી કરપ્ટ APK ફાઇલો મોકલીને નવા ગૅસ-બુકિંગ અને ડિલિવરી ચકાસણી પ્રક્રિયાનો લાભ લઈ શકે છે. આ ફાઇલો બનાવટી હોઈ શકે છે અને મહાનગર ગૅસ લિમિટેડ અથવા HP ગૅસ જેવી ગૅસ કંપનીઓની હોય એવું લાગી શકે છે.’ પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરો પરથી પ્રાપ્ત APK ફાઇલો ડાઉનલોડ ન કરવાની અથવા ન ખોલવાની સલાહ આપી છે.
સમારકામ માટે ભીમાશંકર મંદિર બંધ, પણ BJPના સંસદસભ્ય માટે ખોલવામાં આવ્યું
ADVERTISEMENT
પુણે જિલ્લામાં આવેલું ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક ભીમાશંકર મંદિર સમારકામ માટે ૯ જાન્યુઆરીથી ૩ મહિના સામાન્ય ભક્તો માટે બંધ છે. એમ છતાં આ સમયગાળા દરમ્યાન ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય ડૉ. નિશિકાંત દુબેને VIP દર્શન આપવા માટે એ ખોલવામાં આવ્યું હતું, જેનાથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શિવરાત્રિના દિવસે પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ ઝારખંડના ડૉ. નિશિકાંત દુબે માટે મંદિર ખોલવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં પુણેના જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર દુદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સંસદસભ્યે દર્શન કર્યાં હોવાની મારી પાસે કોઈ માહિતી નથી, આ અંગે તપાસ કરીને સ્પષ્ટતા કરવામાં આવશે.
લોકઅદાલતમાં બાવીસ કેસોમાં સમાધાન, ૯.૨૩ કરોડની આવક
રાષ્ટ્રીય લોકઅદાલતના ભાગરૂપે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ-II (DRT-II)ના મુંબઈ વિભાગ દ્વારા કોલાબા ખાતે ડેબ્ટ રિકવરી અપેલેટ ટ્રિબ્યુનલ (DRAT)ના અધ્યક્ષ વિવેક ભારતી શર્માના માર્ગદર્શન હેઠળ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ માર્ચે યોજાયેલી લોકઅદાલતમાં કુલ ૯૩ કેસોની સુનાવણી કરવામાં આવી હતી, જેમાંથી બાવીસ કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતું. એને કારણે DRT-I અને DRT-IIને ૯.૨૩ કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી.
ચૈત્રી નવરાત્રિ પહેલાં માતાજીનું આગમન

ચૈત્રી નવરાત્રિ માટે જગતજનની જગદંબા માને તાડદેવના રાજ રાજેશ્વરી પ્રતિષ્ઠાન દ્વારા ધામધૂમથી આવકારવામાં આવ્યાં હતાં. તસવીર : અતુલ કાંબળે
દેવેન્દ્ર ફડણવીસને માનદ ડૉક્ટર ઑફ સાયન્સની ડિગ્રી એનાયત

રાહુરીની મહાત્મા ફુલે કૃષિ યુનિવર્સિટીએ રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેક્નૉલૉજીને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ માનદ ડૉક્ટર ઑફ સાયન્સ (DSc) ડિગ્રી એનાયત કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ અને રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓના ચાન્સેલર જિષ્ણુ દેવ વર્માએ દેવેન્દ્ર ફડણવીસને માનદ ડિગ્રી એનાયત કરી હતી.
