છેલ્લાં એક વર્ષમાં 126 બાળકોમાં જન્મજાત બહેરાશની સમસ્યાનું નિવારણ કરવા કોકલીઅર ઇમ્પ્લાન્ટ સર્જરી હાથ ધરવામાં આવી
તસવીર સૌજન્ય: પીઆર
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએએચ)એ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે) સાથે જોડાણમાં છેલ્લાં એક વર્ષથી વધારે સમયગાળામાં જન્મજાત બહેરાશ ધરાવતા 126 બાળકોને સાંભળતા કર્યા છે. આરબીએસકે એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાન (એનઆરએચએમ) અને મહારાષ્ટ્ર સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.
કોવિડના પડકારો વચ્ચે પણ પીપીપી (સરકારી-ખાનગી-ભાગીદારી) મોડલ તરીકે અમલ થયેલો આ કાર્યક્રમ સમાજના આર્થિક રીતે નબળાં વર્ગના બાળકો અને તેમના માતાપિતાઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. જાન્યુઆરી, 2021માં આ કાર્યક્રમની શરૂઆત થયા પછી અત્યાર સુધી કેડીએએચએ 126થી વધારે બાળકો પર સફળતાપૂર્વક સર્જરી કરી છે. બાળકોના માતાપિતા ખુશ છે કે તેમના બાળકો છેવટે શાળામાં અભ્યાસ કરવા જાય છે, સાંભળી શકે છે અને વાતચીત પણ કરી શકશે.
ADVERTISEMENT
આના માટે જરૂરી નાણાકીય સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમાં કોકિલાબેન હોસ્પિટલ દર્દીઓ અને માતાપિતા માટે પરીક્ષણ અને ઇમેજિંગ, સર્જરી, સ્પીચ થેરેપી અને રહેવાની જગ્યા ફાળવવા માટે જવાબદાર છે. કોકિલાબેન હોસ્પિટલ બે વર્ષ સુધી સઘન પ્રયાસ કરે છે તથા આ માટે માતાપિતા અને બાળકની સારસંભાળ રાખતા લોકોને તાલીમ પણ આપે છે.
અત્યારે દર્દીઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નિષ્ણાતો અને સિવિલ સર્જનની ટીમ દ્વારા જિલ્લા સ્તરે શાળાઓ અને આંગણવાડીઓમાં ચકાસણી કરીને આ પ્રકારની ખામી ધરાવતા બાળકોની ઓળખ કરે છે. ઇમ્પ્લાન્ટ માટે પસંદગી અગાઉ બ્રેઇનસ્ટેમ ઇવોક્ડ રિસ્પોન્સ ઓડિયોમેટ્રી (બીઇઆરએ) હાથ ધરવામાં આવે છે, જેથી બાળકની સાંભળવાની ક્ષમતા નક્કી થાય છે અને શ્રવણક્ષમતા ગુમાવવાની પુષ્ટિ થાય છે. આ પુષ્ટિ થયા પછી બાળકને 3 મહિના માટે સાંભળવા માટે સહાયક ઉપકરણ આપવામાં આવે છે, જેથી તેને ઇમ્પ્લાન્ટની જરૂર છે કે નહીં એની ચકાસણી થાય છે. જો તેને જરૂર જણાય, તો કોકિલાબેનન હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.
આ પહેલ પર કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ઇએનટી વિભાગના કન્સલ્ટન્ટ અને હેડ ડૉ. સંજીવ બધવારે કહ્યું હતું કે “સાંભળવાની સમસ્યા ધરાવતા બાળકોને ફરી સાંભળવાની તક આપતી આ પહેલનો ભાગ બનવાની અમને ઘણી ખુશી છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં સાંભળવાની ખામી સ્વાસ્થ્ય સાથે ગંભીર સમસ્યા છે તથા એનાથી તેમના બોલવા અને શિક્ષણ પર માઠી અસર થઈ શકે છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાના ટેકા સાથે અમે બહુ મોડું થાય એ અગાઉ આ બાળકો માટે સમયસર સારવાર શરૂ કરવા સક્ષમ બન્યાં છીએ. કોકલીઅર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ સાથે અમે તેમને શ્રવણક્ષમતાની ભેટ આપવાની સાથે તેમને બોલવા, અવાજ, શબ્દો અને ભાષાઓ શીખવાની તાલીમ પણ આપીએ છીએ.”
126 બાળકોમાં પ્રજ્ઞા ગડચિરોલીની 3 વર્ષની બાળકી છે. જ્યારે તે નવ મહિનાની હતી, ત્યારે તેના માતાપિતાને સમજાયું હતું કે, તે હાથ હલાવવા સામે પ્રતિભાવ આપે છે, પણ અવાજ સામે તે પ્રતિભાવ આપતી નહોતી. પરીક્ષણમાં પુષ્ટિ થઈ હતી કે, તે બંને કાનોથી સાંભળતી શકતી નહોતી. તેમને સારવાર માટે બાળકીને કેડીએએચમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી, પણ કોવિડના નિયંત્રણોને કારણે એ સમયે મુંબઈ આવી શક્યાં નહોતાં. અત્યારે બે વર્ષ પછી તેઓ કેડીએએચમાં બાળકીને લાવ્યાં હતાં, જ્યાં એક કાનમાં કોકલીઅર ઇમ્પ્લાન્ટથી પ્રજ્ઞા માટે અવાજની નવી દુનિયા ખુલી છે.
ગડચિરોલીના 5 વર્ષના સમીરની બહેરાશનું નિદાન એક વર્ષની વયે થયું હતું. તે સમયે તેના માતાપિતા સારવાર ન કરાવી શક્યાં, કારણ કે તે સમયે તેમને નાણાકીય મદદ કરવા કોઈ સરકારી યોજના ચાલતી નહોતી. આ યોજના અંતર્ગત શરૂઆતમાં સર્જરી 2 વર્ષ સુધીની વય ધરાવતા બાળકો પૂરતી મર્યાદિત હતી. ઓક્ટોબર, 2020માં વયની લાયકાત વધારવામાં આવી હતી એટલે ચાર વર્ષ પછી કોકલીઅર ઇમ્પ્લાન્ટ માટે પરિવાર કેડીએચએચમાં આવ્યો હતો. અત્યારે સમીર સાંભળી શકે છે!
સર્જરી પછી પુનર્વસનની પ્રક્રિયામાં એક વર્ષ લાગે છે. એમાં દરેક મહિને મશીનની અવાજની ક્ષમતામાં તબક્કાવાર વધારો કરવાની સાથે ઇમ્પ્લાન્ટ કરેલા મશીનના સાઉન્ડનું મેપિંગ સામેલ છે. આ બાળકને અવાજના તરંગોથી પરિચિત થવામાં, અવાજને ઓળખવામાં તથા ધીમે અને સાતત્યપૂર્ણ રીતે સમજવામાં મદદ મળે છે. દર્દીઓને દર 2થી 3 મહિને ફોલો-અપ ચેક કરાવવાની જરૂર હોવાથી કોકિલાબેન હોસ્રપિટલ તેમની ઘરની નજીક શહેરોમાં ચેક-અપ કેમ્પની વ્યવસ્થા કરે છે.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે, “વંચિત પરિવારોના બાળકો માટે રાજ્ય સરકારે હાથ ધરેલી હેલ્થકેર પહેલનો ભાગ બનવું અમારા માટે ગર્વની વાત છે. ભારત શ્રવણક્ષમતાની ખામીઓ ધરાવતા શાળાએ જતાં સૌથી વધુ બાળકો ધરાવે છે. પણ તેમાંથી મોટા ભાગના બાળકોમાં આ ખામીનું નિદાન થતું નથી અને શ્રવણક્ષમતાનું નિરીક્ષણ કરવાના એક પ્રતિબદ્ધ કાર્યક્રમના અભાવે આ બાળકોને સારવાર પણ મળતી નથી. જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ સારવાર પ્રદાન કરવાની કામગીરીને આપણી સામાજિક પહેલોમાં સામેલ કરવાની જરૂર છે. એટલે અમે દરેક પગલે રાજ્ય સરકારને સહાય કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં સાંભળી ન શકતા બાળકોનો ઓળખવાથી લઈને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પ્રદાન કરવા સુધીની સહાય સામેલ છે. કેડીએએચમાં અમારો ઉદ્દેશ અમારી કામગીરીને કોઈ વિસ્તાર પૂરતી મર્યાદિત રાખવાનો નથી અને સૌથી વધુ જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી પહોંચીને તેમના જીવનમાં સતત, સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.”
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે) એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય અભિયાન (એનઆરએચએમ)નો એક કાર્યક્રમ છે. એનઆરએચએમ સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ બાળકો માટે 4 Ds એટલે કે જન્મ સમયે ખામીઓ, ઊણપો, રોગો અને વિકલાંગતા સહિત વિકાસમાં વિલંબનું વહેલાસર નિદાન કરીને ઝડપથી એની સારવાર કરવાનો છે.