Pakistan Airspaceએ જણાવ્યું હતું કે લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે દેશનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Pakistan Airspace: ભારત દ્વારા મંગળ-બુધવારની રાત્રે કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાન પૂરી રીતે ડરી ગયું છે. ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન એક પછી મોટા નિર્ણયો લઈ રહ્યું છે. જેમાં હવે પાકિસ્તાન સરકાર દ્વારા લાહોર તેમ જ ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કમર્શિયલ ફ્લાઇટ્સ પર રોક લગાવી દેવામાં આવી છે.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA)એ બુધવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે દેશનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવે છે. જો કે કરાચી એરપોર્ટ કાર્યરત છે.
ADVERTISEMENT
આ પહેલાં પણ બુધવારે પાકિસ્તાને 48 કલાક માટે તમામ એરટ્રાફિક માટે તેના હવાઈ ક્ષેત્રને (Pakistan Airspace) બંધ કરી નાખ્યું હતું. ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે હાલમાં જ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી હુમલા કરીને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં ભારતની કાર્યવાહીને અવિચારી અને ઉશ્કેરણીજનક ગણાવી અને કહ્યું કે તે નાગરિક ઉડ્ડયન માટે ગંભીર જોખમરોરૂપ છે. આવી ઘટનાઓને પગલે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.
આમ, પાકિસ્તાનના એરપોર્ટ ઓથોરિટીએ (Pakistan Airspace) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)નો સંપર્ક કરીને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા મિસાઇલ હુમલાઑથી નાગરિક ઉડ્ડયનની સલામતી માટે ગંભીર જોખમો ઊભા થયા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર કમર્શિયલ ફ્લાઇટ્સ બંધ કરી નાખી છે.
Pakistan Airspace: વાત કરીએ ઓપરેશન સિંદૂરની. તો મંગળ-બુધવારની રાત્રે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન જ્યારે ઊંઘતું હતું ત્યારે જ ઝડપી લીધું હોય એમ પાકિસ્તાન અને PoKમાં નવ જેટલા આતંકવાદી સ્થળો પર હુમલા શરૂ કર્યા અને આતંકવાદીઓને ઠાર કર્યા. આ હુમલો કાશ્મીરના પહેલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના મજબૂત પ્રતિભાવ તરીકે થયો હતો. પહલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના ભારતભરના પ્રવાસીઓ હતા.
ભારતે શા માટે `ઓપરેશન સિંદૂર` ચલાવવું પડ્યું અને તે શા માટે જરૂરી હતું તે અંગે મીડિયાને માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદીઓ માટે સલામત આશ્રયસ્થાન તરીકેની પોતાની છાપ ઊભી કરી છે. પાકિસ્તાને ક્યારેય આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે કંઈ કર્યું નથી. ઉપરથી તેમને આશરો આપ્યો છે. હવાઈ હુમલાના થોડાક જ સમય બાદ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મીડિયાને સંબોધતાં તેઓએ ઉમેર્યું હતું કે "રેસિસ્ટન્સ ફ્રન્ટ નામના જૂથે પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જૂથ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે. પાકિસ્તાન આતંકવાદીઓ સાથે જોડાયેલું છે."

