ખેતરમાં છુપાયેલા દીપડાએ બે બાળકને ફાડી ખાધાં
દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપતા મજૂરોનું જીવન કાયમ જોખમી હોય છે, સુરત જિલ્લામાં છેલ્લા ૪ દિવસમાં દીપડા દ્વારા માણસ ઉપર હુમલાના બનાવમાં બે બાળકોએ જીવ ગુમાવ્યાં છે, આ ઘટનાને લઈને વન અધિકારીએ શુગર ફૅક્ટરીને મજૂરોના પડાવને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપી છે, જ્યારે વનપ્રધાને તો માનવજીવન બચાવવા હિંસક પ્રાણીને ઠાર મારવા સુધીની તૈયારી બતાવી દીધી છે, ત્યારે મજૂરોએ આ સફાળા જાગેલ તંત્રને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે. ગુજરાતમાં રોજી-રોટી માટે સ્થળાંતર કરતા મજૂરોની સંખ્યા વધારે છે. ખાસ કરીને શેરડી કાપતા મજૂરો ડાંગ, તાપી અને મહારાષ્ટ્રના નવાપુરા, નંદુરબાર તેમ જ ધુળેમાંથી અંદાજે ૧.૫ થી ૨ લાખ મજૂરો રોજગારી માટે આવે છે. દક્ષિણ ગુજરાતની ૧૦ મોટી શુગર ફૅક્ટરી અને અન્ય નાની ફૅક્ટરીઓ અને ખાંડસરી માટે શેરડી કાપવા આવતા આદિવાસી સમાજના લોકો પરિવારના ભરણપોષણ માટે દર વર્ષે સહપરિવાર સાથે સ્થળાંતર કરતા હોય છે.