ઉડ્ડયનપ્રધાન બલવંતસિંહ રાજપૂતે ગુજરાત વિધાનસભામાં કરી જાહેરાત : પ્રથમ તબક્કામાં ૯૦ અને ૭૦ બેઠકો ધરાવતા પ્લેનનું ઉતરાણ કરાવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રમાં સિરૅમિક નગરી તરીકે જાણીતા મોરબીમાં પણ હવે ઍરપોર્ટ બનશે અને એ માટેની તૈયારીઓ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં, ઍરપોર્ટ તૈયાર થયા બાદ પ્રથમ તબક્કામાં ૯૦ અને ૭૦ બેઠકો ધરાવતા પ્લેનનું ઉતરાણ કરાવવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ગુજરાતના નાગરિક ઉડ્ડયનપ્રધાન બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ‘ઉદ્યોગનગરી તરીકે ઓળખાતા મોરબીને અન્ય શહેરો સાથે હવાઈમાર્ગે જોડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોરબી ખાતે નવી હવાઈપટ્ટી ઉપલબ્ધ કરવાની કામગીરી પ્રગતિમાં છે. આગામી ૧૦થી ૧૫ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને મોરબીમાં આધુનિક હવાઈપટ્ટી નિર્માણ કરવામાં આવશે.’

