જવાબ છે, સંઘની સલાહ માનીને. વિજય રૂપાણીને મુખ્ય પ્રધાનપદેથી હટાવ્યા પછી આરએસએસે કરેલા સર્વે મુજબ જો વિરોધીઓને ઊંઘતા પકડવામાં આવે તો જ બીજેપી ગુજરાતનો ગઢ સાચવી શકે છે
Gujarat Election
ગુજરાત િવધાનસભાના સત્ર દરમિયાનની આ છે ફાઇલ તસવીર
આમ તો ગુજરાત વિધાનસભાની ટર્મ ડિસેમ્બરમાં પૂરી થવાની છે, પણ અત્યારે ગુજરાત બીજેપી વિધાનસભા બરખાસ્ત કરીને મે-જૂનમાં ઇલેક્શન આવે એને માટેની તૈયારીમાં લાગી ગઈ છે. આવું કરવાની સલાહ બીજેપીને બીજા કોઈએ નહીં, પણ એની પિતૃ-સંસ્થા એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જ આપી છે.
બીજેપીનું બૅકબૉન બનીને કામ કરતા સંઘ દ્વારા જાતજાતના અને ભાતભાતના સર્વે ચાલતા હોય છે. મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીને હટાવ્યા પછી સંઘ દ્વારા થયેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે બીજેપી માટે ગુજરાતનો ગઢ સાચવવાનું કામ કપરું છે અને જો ઊડીને આંખે વળગે એવું કંઈ બને નહીં તો ડિસેમ્બરમાં આવનારા ઇલેક્શનમાં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વધારે મજબૂત થઈને ગુજરાતમાં ઊભરી આવશે.
ગયા મહિને ચાર સ્ટેટમાં બીજેપીને મળેલી જીત પછી ગુજરાતમાં લોકો વચ્ચે જઈ, લોકોના વિરોધને પારખીને આવેલા સંઘે જ સૂચન કર્યું છે કે જો વહેલું ઇલેક્શન આવે તો યુપી અને ગોવા સહિત ચાર રાજ્યોમાં મળેલી જીતનો સીધો બેનિફિટ ગુજરાત બીજેપીને મળે એમ છે, તો સાથોસાથ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસને પણ તૈયારીનો પૂરતો સમય ન મળે. આ સૂચનને ધ્યાનમાં રાખીને બીજેપીએ સ્ટ્રૅટેજી ચેન્જ કરી વહેલા ઇલેક્શનની તૈયારી શરૂ કરી છે. જો વાતમાં તથ્ય હોય તો બીજેપી ઇચ્છે છે કે આવતા ૧૫ દિવસમાં ઇલેક્શન કમિશન પાસે ગુજરાતના ઇલેક્શનની ડેટ સુધ્ધાં અનાઉન્સ કરાવી દેવી અને મે મહિનાના અંત સુધીમાં કાઉન્ટિંગમાંથી પણ બહાર નીકળી જવું.