કાંકરિયા કાર્નિવલ પૂરો થયો એ જ દિવસે ફ્લાવર-શો શરૂ થયો, રિવરફ્રન્ટ પર પતંગોત્સવની પણ શરૂ થઈ તૈયારીઓ, બીજી તરફ અમદાવાદના સીમાડે સરદાર પટેલ રિંગ રોડ પર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પણ ચાલી રહ્યો છે
અમદાવાદ ફ્લાવર-શોમાં ઊમટેલા સહેલાણીઓ
ગુજરાતના અમદાવાદમાં એક પછી એક નૉનસ્ટૉપ ઉત્સવોની વણઝાર શરૂ થઈ છે અને શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. કાંકરિયા કાર્નિવલ પૂરો થયો એ જ દિવસે ફ્લાવર-શો શરૂ થયો અને આ શો શરૂ થયો છે ત્યાં રિવરફ્રન્ટ પર પતંગોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ એ સમયથી અમદાવાદમાં જાણે કે એક પછી એક ઉત્સવ આવી રહ્યો હોય એવો માહોલ સર્જાયો છે. પહેલાં વિધાનસભાની ચૂટણી યોજાઈ, એ પછી પરિણામો આવ્યાં અને ત્યાર બાદ અમદાવાદના સીમાડે સરદાર પટેલ રિંગ રોડ પર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. આ મહોત્સવ ચાલુ હતો એ સમયે જ કાંકરિયા લેક-ફ્રન્ટ પર કાંકરિયા કાર્નિવલ શરૂ થયો. આ કાર્નિવલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પૂરો થયો એ જ દિવસે બીજી તરફ રિવરફ્રન્ટ, ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ ફ્લાવર-શો શરૂ થયો છે. ફ્લાવર-શોની મહેક અને સૌંદર્ય સહેલાણીઓ માણે ત્યાં તો બીજી તરફ રિવરફ્રન્ટના મેદાનમાં પતંગોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૮ જાન્યુઆરીથી ગુજરાતમાં પતંગોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે જે ઉત્તરાયણ સુધી ચાલશે.
ADVERTISEMENT
અમદાવાદના રિવરફ્રન્ટમાં પતંગોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
ડિસેમ્બરના અંતમાં યોજાયેલા કાંકરિયા કાર્નિવલમાં રોજ હજારો સહેલાણીઓ અવનવા કાર્યક્રમોની મોજ માણવા ઊમટી પડ્યા હતા. એમાં પણ થર્ટી ફર્સ્ટની રાતે જાણે કે કાંકરિયા કાર્નિવલમાં કીડિયારું ઊભરાયું હોય એટલી માત્રામાં પબ્લિક ઊમટી હતી. બીજી તરફ થર્ટી ફર્સ્ટથી શરૂ થયેલા અમદાવાદ ફ્લાવર-શોમાં પણ રોજ મોટી સંખ્યામાં ફૂલોનો નઝારો જોવા સહેલાણીઓ ઊમટી રહ્યા છે. રવિવારે ફ્લાવર-શોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. હજુ તો ફ્લાવર-શો શરૂ થયો છે અને ૧૨ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ફ્લાવર-શો ચાલતો હશે એ દરમ્યાન જ રિવરફ્રન્ટના બીજા ભાગમાં પતંગોત્સવ શરૂ થશે.
બીજી તરફ અમદાવાદના છેડે સરદાર પટેલ રિંગ રોડ પર બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પણ ચાલી રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા દેશ-વિદેશમાથી મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી રહ્યા છે. પ્રમુખસ્વામીની ૩૦ ફુટ સ્વર્ણિમ મૂર્તિ, દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, લાઇટ ઍન્ડ સાઉન્ડ-શો સહિતનાં આકર્ષણો અને જીવનઘડતરને લગતા કાર્યક્રમોને માણવા રોજ હજારો ભાવિકો આવી રહ્યા છે. અમદાવાદમાં એક પછી એક ઉત્સવો આવી રહ્યા હોવાથી અને ચાલી રહ્યા હોવાથી અમદાવાદ જાણે કે ઉત્સવઘેલું બની ગયેલું જણાઈ રહ્યું છે.