પુરુષ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર પાર્કિંગ અને ટ્રૅફિક મૅનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે
સુરતમાં ઠેર-ઠેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પોસ્ટર લગાડવામાં આવ્યાં છે.
આજથી બે દિવસ વડા પ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે સરકારની નવતર પહેલઃ નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં લખપતિ દીદી સન્માન સમારોહમાં હેલિપૅડથી સભાસ્થળ સુધી વડા પ્રધાનની સુરક્ષામાં તહેનાત રહેશે માત્ર ને માત્ર મહિલા પોલીસ
આજથી બે દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે નવતર પહેલ હાથ ધરીને ૮ માર્ચે શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં વડા પ્રધાનની સુરક્ષામાં ૨૪૦૦થી વધુ મહિલા પોલીસ તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્ર ને માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંભાળશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલિસિંગ અને લૉ ઑર્ડર ક્ષેત્રે માઇલસ્ટોન સ્ટેપ સાબિત થશે. કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ ભારતનો આ સૌપ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વડા પ્રધાનની સુરક્ષા-વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સંભાળશે. હેલિપૅડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભાસ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ પર ગુજરાતની મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે.’
ADVERTISEMENT
બીજી તરફ પુરુષ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર પાર્કિંગ અને ટ્રૅફિક મૅનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળોએ મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે.
સમગ્ર કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપૂર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત-વ્યવસ્થા માટે ૨૧૪૫ મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ, ૧૮૭ મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ૬૧ મહિલા પોલીસ-ઇન્સ્પેક્ટર, ૧૯ મહિલા DYSP, પાંચ મહિલા SP, એક મહિલા DIG અને ૧ મહિલા અધિક પોલીસ મહાનિદેશક બંદોબસ્તમાં રહેશે.
આજે સુરતના લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તીકરણ અભિયાન હેઠળ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લાભ આપવામાં આવશે. એ ઉપરાંત સેલવાસમાં પણ એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને ત્યાર બાદ સુરત જશે. સુરતમાં રોડ-શો યોજીને સભાસ્થળે જશે.

