અમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી SVPહોસ્પિટલમાં 15માં માળે પાણી ઘુસ્યા
નવી તૈયાર થયેલી SVP હોસ્પિટલ (નવી વી.એસ. હોસ્પિટલ)
Ahmedabad : અમદાવાદમાં શુક્રવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે શહેરમાં થોડા સમય પહેલા જ રૂ.750 કરોડના ખર્ચે બનેલી અને 7 મહિના પહેલા જ શરૂ થયેલી SVP (સરદાર વલ્લભભાઈ હોસ્પિટલ) એટલે કે નવી વી.એસ.હોસ્પિટલના 15માં માળે પાણી ભરાયું છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલી ગઈ છે. અમદાવાદમાં મધરાતે પડેલા વરસાદમાં એસવીપી હોસ્પિટલના 15માં માળે અચાનક પાણી ભરાવા લાગતા હોસ્પિટલનો સ્ટાફ દોડધામ કરી પાણી ઉલેચવા લાગ્યો હતો. તેમાં પણ દર્દીઓના બેડના વોર્ડમાં જ પાણી ભરાતા દર્દીઓ પણ ભયમાં મુકાયા હતા.
બાંધકામ સામે ઉઠ્યા સવાલો
આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં જ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અઠવાડીયા પહેલા POPની છત તૂટી પડી જ્યારે હજુ અઠવાડીયા પહેલા એટલે કે 2 ઓગસ્ટે એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : Ahmedabad: મેગાસિટી બન્યું ‘મેઘા’સિટી, ધોધમાર વરસાદથી જળબંબાકાર
પહેલા ચોમાસામાં જ છત તૂટી અને પાણી ભરાયા, બાંધકામમાં રહેલી ક્ષતિઓ છતી થઈ
ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આ તમામ સુવિધાઓ વચ્ચે આજે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ પહેલા ચોમાસામાં જ બહાર આવી ગઈ છે.